કોવિડ-૧૯ રોગચાળા અને ભારત-ચીન સરહદ પર તણાવના કારણે છેલ્લા પાંચ વર્ષથી બંધ રહેલી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ વર્ષે 2025માં આ યાત્રા જૂન મહિનાથી ઓગસ્ટ મહિના દરમિયાન યોજાશે.
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ યાત્રા બે અલગ-અલગ માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં ઉત્તરાખંડમાં આવેલો લિપુલેખ પાસ અને સિક્કિમમાં આવેલો નાથુ લા પાસનો સમાવેશ થાય છે. આ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે રસ ધરાવતા ભક્તો સત્તાવાર વેબસાઇટ http://kmy.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
યાત્રાળુઓની પસંદગી એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. કોમ્પ્યુટર દ્વારા વાજબી અને રેન્ડમ ધોરણે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. લિપુલેખ પાસના માર્ગથી યાત્રાળુઓની કુલ પાંચ બેચ રવાના થશે અને દરેક બેચમાં 50 યાત્રાળુઓનો સમાવેશ થશે. તે જ સમયે, નાથુ લા પાસના માર્ગથી દસ બેચ મોકલવામાં આવશે અને દરેક બેચમાં 50-50 યાત્રાળુઓ હશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં કોવિડ-૧૯ રોગચાળાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. આ ઉપરાંત, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ, ખાસ કરીને ગલવાન ખીણમાં થયેલી અથડામણને કારણે બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. આ પરિસ્થિતિને કારણે કૈલાશ માનસરોવર યાત્રાને સ્થગિત કરવી પડી હતી.
જો કે, ઓક્ટોબર 2024માં કાઝાન ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે. બંને નેતાઓ પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક જેવા વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવા અને સામાન્ય પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે સહમત થયા છે. આ સુધરેલા સંબંધોના પરિણામે જ હવે પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થવા જઈ રહી છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech