જામનગરમાં મહિલા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી 

  • May 26, 2025 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦ ટકા લેખે વ્યાજ પેટે બે લાખ પડાવ્યા બાદ વધુ ચાર લાખની માંગણી કરી  : ચેક રિટર્ન કરાવ્યા : બે શખ્સ સામે ફરીયાદ


જામનગરમાં વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી અને બેકરી ચલાવતી એક વેપારી મહિલા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ છે, અને ૧૦ ટકા લેખે અંદાજે બે લાખ જેવું રાક્ષસી વ્યાજ ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરો વધુ ચાર લાખની માંગણી કરતા હોવાથી અને ચેક રિટર્ન કરાવી લીધા બાદ ધાકધમકી આપતા હોવાથી બંને વ્યાજખોરો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં વૃંદાવન પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતી અને રણજીત સાગર રોડ પર એક બેકરીનું સંચાલન કરતી રાધિકાબેન વિજયભાઈ લાખાણી નામની ૩૨ વર્ષની વેપારી મહિલાએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ ચેક રિટર્ન કરાવી ધાકધમકી આપવા અંગે તેમજ વધુ ચાર લાખની માંગણી કરવા અંગે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા હિતેન લોકચંદ સામનાણી તેમજ ભાટની આંબલી પાસે રહેતા અજય વિજયભાઈ સોલંકી સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાને પોતાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી હિતેન સામનાણીની મદદથી અજય સોલંકી પાસેથી સૌ પ્રથમ દોઢ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા, અને તેનું વ્યાજ જમા કરાવતા હતા.ત્યારબાદ વધુ પૈસાની જરૂર પડતાં બીજા પાંચ લાખ લીધા હતા, અને તેનું પ્રતિદિનનું વ્યાજ ચૂકવતા હતા. જેના બદલામાં અલગ અલગ ચાર ચેક આપ્યા હતા.
કટકે કટકે કુલ બે લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા બાદ વ્યાજખોરો દ્વારા વધુ નાણા કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરતા હોવાથી અને કોરા ચેકમાં ૪ લાખની રકમ ભરી અદાલતમાં ચેક રિટર્ન કરાવી વધુ ચાર લાખ પડાવવા માટે ધાકધમકી આપી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે અને બંને સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને એ.એસ.આઈ. એચ. આર. બાબરીયાએ ગેરકાયદે નાણાં ધીરધાર અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application