સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે - મોરારિબાપુ

  • April 15, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ’હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં  હતા. આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે.
હનુમંત જન્મોત્સવ પ્રસંગે ચિત્રકુટધામ તલગાજરડામાં ત્રિદિવસીય આયોજન થઈ ગયું. હનુમાન જન્મોત્સવ સન્માન પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. હનુમાનજી એ સેવક, સ્વામી સાથે સાથે સદગુરુ, વક્તા, સંદેશ વાહક, રામદૂત, સામવેદનાં ગાન કરનાર... વગેરે ભૂમિકામાં રહેલાં છે. 
 મોરારિબાપુએ આ પ્રસંગે વિદ્યાઓના અલગ અલગ ઉપાસકો અને આવાં ઉપક્રમોનાં અનુભવો અને અનુભૂતિ ઉપરથી લાગે છે કે, આપણાં રોજિંદા જીવન સિવાય પણ જીવનમાં કશુંક અલગ તત્ત્વ રહેલું છે, જેની સૌને પ્રતીતિ થઈ રહી જ છે.
સનાતન પરંપરા અને સંસ્કૃતિનાં આ પ્રસંગમાં  મોરારિબાપુએ આ સન્માનો દ્વારા સૌની વંદના કરી રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
હનુમંત મહોત્સવ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે ગાયન, વાદ્ય, નૃત્ય તથા તાલવાદ્ય માટે હનુમંત સન્માન અર્પણ થયાં હતા. આ સન્માનિતોમાં જયતીર્થ મેવુંડી ( ગાયન ), નિલાદ્રી કુમાર ( સિતાર વાદન ), વિદુષી અદિતિ મંગળદાસ ( નૃત્ય કથ્થક ) તથા  સત્યજિત તલવળકર ( તાલવાદ્ય તબલા )નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં નટરાજ સન્માનમાં  પ્રાણજીવન પૈજા ( ભવાઈ ),  સનત વ્યાસ ( નાટક ),  ’ અર્જુન’ ફિરોઝખાન ( હિન્દી શ્રેણી ) સન્માનિત થયાં. ભામતી સન્માન સંસ્કૃત ભાષાની સેવા કરનાર  પુનિતાબેન દેસાઈને તથા વાચસ્પતિ સન્માન સંસ્કૃત ભાષા સંદર્ભે શ્રી ગિરીશ જાનીને, ચિત્રકામ માટે કૈલાસ લલિતકળા સન્માન  નૈના દલાલને, સદભાવના સન્માન  ગુલઝાર અહેમદ ગયાનને અને સુગમ સંગીત માટે  અવિનાશ વ્યાસ સન્માન  હરિશ્ચંદ્ર જોષીને અર્પણ કરવામાં આવેલ.
આ ત્રિદિવસીય પર્વમાં હનુમાનજીને સાંજનાં સમયે સંગીતાંજલિ નૃત્યાંજલિ રૂપે ગુરુવારે જયતીર્થ મેવુંડી દ્વારા શાસ્ત્રીય ગાયન અને શુક્રવારે વાદ્ય સંગીતમાં નિલાદ્રી કુમાર દ્વારા સિતાર વાદન તથા સત્યજીત તલવળકર દ્વારા તબલા વાદન પ્રસ્તુત થયેલ. 
હનુમાન જયંતી પ્રસંગે આરતી અને સુંદરકાંડ, હનુમાન ચાલીસા તથા સંકીર્તન સાથે પ્રારંભે ગણપતિ વંદના નૃત્ય શ્રી ગૌરી દિવાકર દ્વારા પ્રસ્તુત થયેલ.
કાર્યક્રમ સંચાલન સાથે  હરીશભાઈ જોષીએ મોરારિબાપુ દ્વારા કળા પ્રતિભાઓનાં સન્માન ઉપરાંત વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સહયોગ ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સન્માનિત પૈકી હરીશભાઈ જોષીનાં સન્માન અંગે તેઓનાં સવિનય અસ્વીકાર બાદ મોરારિબાપુ દ્વારા પોતાની પ્રસન્નતા માટેનો ભાવ આગ્રહ થતાં આ સન્માન સ્વીકારાયાનું જણાવાયું હતું. હરીશભાઈ જોષીની સેવા અંગે તુષારભાઈ શુક્લ દ્વારા ટૂંક વિગતો આપવામાં આવી હતી.
સન્માનીતો દ્વારા પ્રાસંગિક અહોભાવ વ્યક્ત કરવામાં આવેલ. સમગ્ર સંકલનમાં સન્માન પસંદગી સમિતિ સભ્યો રહેલ. આ પ્રસંગે  જયદેવભાઈ માંકડ, નિલેશભાઈ વાવડિયા અને કાર્યકર્તાઓ આયોજનમાં રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application