રાજકોટ મનપાની ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવનાર ઉમેદવારો માટેના હુકમો બજવણીની કામગીરી ૫૦ ટકા પૂર્ણ થઈ ગઈ હતી. જે બાદ વધુ ૨૪ ઉમેદવારો માટે ડિપોઝિટ જપ્તી માટેના હુકમ બજાવવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામ બાદ ૮ દિવસમાં કુલ ૬૬ જેટલા ઉમેદવારોને હુકમ કરી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં બાકી રહેલા હુકમ કરવામાં આવશે. રાજકોટ મનપાની ચૂંટણી પરિણામના આઠ દિવસ બાદ ૬૬ જેટલા ઉમેદવારોને આર.ઓ. દ્વારા હુકમ જારી કરી દેવામાં આવ્યા બાદ વધુ ૨૪ ઉમેદવારો માટે હુકમ બજવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર ૧૦માં ૯, વોર્ડ નંબર ૧૧માં ૭ અને વોર્ડ નંબર ૧૨માં ૮ ઉમેદવારોને સમાવેશ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલના રોજ યોજાઈ હતી. કુલ ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારો ચૂંટાય ગયા છે જેનું પરિણામ તારીખ ૨૮ એપ્રિલના રોજ આવી ગયું છે. રાજ્ય ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર નિર્ધારિત મર્યાદા જેટલા મત મેળવવામાં નિષ્ફળ રહે, તો તેણે ફોર્મ ભરતી વખતે જમા કરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા થઈ જાય છે. નિયમ મુજબ કુલ મતના છઠ્ઠા ભાગથી ઓછા મત મળે તો તે ઉમેદવાર ડિપોઝિટ ગુમાવે છે. એટલે કે, જો કોઈ ઉમેદવારને તે વોર્ડ અથવા બેઠક પર પડેલા કુલ માન્ય મતોના છઠ્ઠા ભાગ કરતા ઓછા મત મળે, તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. જેની ઉમેદવારને જાણ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હુકમ કરી કરવામાં આવે છે. આવનારા દિવસોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરાશે.