મહુવામાં મતદાનના દિવસે લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં મતાધિકાર બજાવી પરત ફરતા યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવાન અમરેલીના રાજુલાથી મતદાન કરવા માટે મહુવા આવ્યો હતો અને તે વાતનું ધ્યાન રાખી આરોપીઓએ હત્યા કરી હતી. આરોપીઓએ પ્રી-પ્લાન કરીને હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, ત્યારે આ ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લઈ હત્યારાઓ કઈ તરફ ગયા તેની તપાસ કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મહુવાના નવા બસ સ્ટેશન નજીક ધોળા દિવસે છરીઓના ઘા ઉલાળી હત્યા કરવામાં આવી હતી અને મૃતક યુવકના પરિજનોને જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા હતા. રાજુલાથી ખાસ મતદાન કરવા માટે મહુવા આવેલ સમીર નામના યુવાનની ત્રણ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામા આવ્યો હતો, ત્યારે આરોપીઓ કયારે ઝડપાય છે તે જોવાનું રહ્યું. ધોળા દિવસે હત્યા થતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા હતા.
મૃતક સમીરને આરોપીઓ સાથે જૂની અદાવત હોવાને કારણે તેઓ અગાઉ રાજુલા રહેવા જતા રહ્યા હતા. પરંતુ, ગઈકાલે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તે મહુવા આવ્યો હતો. પોતાનો વોટ આપીને જ્યારે તેઓ નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ નજર લગાવીને બેઠેલા ત્રણ શખ્સોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો અને મૃતકને સારવાર મળે તે પહેલા મોત થયું હતું. એક તરફ ચૂંટણીનો બંદોબસ્ત અને બીજી તરફ હત્યાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી.