Video : 18 લાખ 82 હજાર દીવાઓથી ઝળહળ્યું ઉજ્જૈન, ડ્રોનમાં કેદ થયો અદભૂત નઝારો

  • February 19, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​મહાશિવરાત્રિ પર દીવા પ્રગટાવવામાં ઉજ્જૈને રેકોર્ડ બનાવ્યો છે. ધાર્મિક નગરી ઉજ્જૈને દીવો પ્રગટાવવામાં ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો છે. ઉજ્જૈનમાં 18 લાખ 82 હજાર દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. દિપ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતે ઉજ્જૈન પહોંચ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ બન્યા બાદ દીપ પ્રગટાવનાર સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહાશિવરાત્રીના તહેવાર પર ઉજ્જૈનમાં શિવ દિવાળી ઉજવવામાં આવે છે. શિવ દિવાળીના અવસર પર ઉજ્જૈન દીવાઓથી ઝળહળી ઉઠે છે. વર્ષ 2020માં અયોધ્યાએ 11 લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 

આ વખતે શિવ દિવાળીના દિવસે ઉજ્જૈનના લોકોએ સુવર્ણ તક મેળવીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું કે શિવ દિવાળીના દિવસે ઉજ્જૈન 18 લાખ 82 હજાર દીવાઓથી ઝળહળી ઉઠ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે ડ્રોન દ્વારા અદ્ભુત નજારો કેદ કર્યો હતો. હવે ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 21 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

ટાર્ગેટ પૂરો કરવા માટે 18 હજારથી વધુ સ્વયંસેવકો ઘાટ પર પહોંચ્યા હતા. શાળાના બાળકોથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને દરેક ક્ષેત્રના લોકો જોડાયા હતા. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહાશિવરાત્રીના અવસર પર ઉજ્જૈનનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

તેમણે પોતે રામ ઘાટ પર દીપ પ્રગટાવ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભગવાન મહાકાલની નગરીમાં શિવ દિવાળી પર્વ પર દીપ પ્રગટાવવાની અનોખી ઘટના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે તે દરેક માટે ગર્વની વાત છે. તેમણે દીપ પ્રગટાવનાર તમામ સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application