અયોધ્યા નજીક નિર્માણાધીન મસ્જીદ તાજમહેલથી પણ ભવ્ય હશે તેવો દાવો, સોનાથી લખેલી પવિત્ર ઈંટનો નખાશે પાયો

  • February 08, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મસ્જિદમાં પ્રથમ નમાજ મક્કાના ઈમામ અથવા ઈમામ-એ-હરમ અબ્દુલ રહેમાન અલ સુદાઈસ કરશે ; મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રખાયું 


૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન બાદ મસ્જિદનું નિર્માણ પણ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. અયોધ્યામાં ૫ એકર જમીન પર બનનાર મસ્જિદ માટે પવિત્ર ઇંટો મક્કાથી લાવવામાં આવી છે. આ ઈંટને મક્કા શરીફ અને મદીના શરીફમાં ઝમ-ઝમ અને અત્તરથી પાવિત્ર કરાઈ હતી. તેને ૨૯ ફેબ્રુઆરીએ એક કાર્યક્રમમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેને અજમેર શરીફ પણ લઈ જવામાં આવશે. ૨૦૧૯માં અયોધ્યા જમીન વિવાદમાં પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ૫ એકર જમીન પર મસ્જિદ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ મસ્જિદ અયોધ્યાથી ૨૫ કિલોમીટર દૂર ધન્નીપુર ગામમાં બનાવવામાં આવશે.

એપ્રિલમાં ઈદ પછી મસ્જિદનું બાંધકામ શરૂ થવાની ધારણા છે. મસ્જિદ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે તાજમહેલ કરતા પણ વધુ સુંદર હશે, જેમાં એક સાથે ૯ હજાર લોકો નમાઝ અદા કરી શકશે. મક્કા અને મદીનાની પવિત્ર ઈંટ ખાસ કાળી માટીની બનેલી છે. આ સિવાય મસ્જિદમાં કેસરી રંગનું ૨૨ ફૂટ ઊંચું કુરાન અને ૫ મિનારા હશે, જે ઈસ્લામના પાંચ સ્તંભો- તૌહીદ, નમાઝ, રોઝા, જકાત અને હજનું પ્રતીક હશે. 


અયોધ્યામાં નિર્માણ થનારી મસ્જિદનો પાયો આ પવિત્ર કાળી ઈંટથી નાખવામાં આવશે. મસ્જિદના નિર્માણમાં આ પ્રથમ ઈંટનો ઉપયોગ કરવામાં આવશે. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઓલ ઈન્ડિયા રાબતા-એ-મસ્જિદ ખાતે એક કાર્યક્રમમાં પવિત્ર કાળી ઈંટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પછી મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા વિકાસ સમિતિના અધ્યક્ષ અરફત શેખ ઈંટ લઈને મક્કા ગયા. અરાફાત શેખ ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. મક્કામાં ઇંટોને પવિત્ર પાણી અબે ઝમ-ઝમથી પવિત્ર કરવામા આવી હતી. પછી ઈંટને મદીના લઈ જવામાં હતી. અને હવે આ ઈંટને ભારત પરત લાવવામાં આવી છે.


ઈંટ પર સોનાથી લખાયા પયગંબરના નામ અને આયાત 

ઈંટ ખાસ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. તેના પર પવિત્ર કુરાનની કેટલીક આયતો સોનાથી લખવામાં આવી છે. આ ઉપરાંત ઇસ્લામના પયગંબરના નામ પણ ચારે બાજુ લખેલા છે. એપ્રિલમાં રમઝાન અને ઈદ પછી ઈંટને અયોધ્યા લઈ જવામાં આવશે. પયગંબર મોહમ્મદના નામ પરથી મસ્જિદનું નામ મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવ્યું છે. અહેવાલ મુજબ નવી મસ્જિદ ભારતમાં નમાઝ પઢવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર હશે. તેમણે કહ્યું કે અલ્લાહની કૃપાથી મસ્જિદનું નિર્માણ ખૂબ જ ભવ્ય અને સુંદર હશે. સૌંદર્યની દૃષ્ટિએ પણ, તે તાજમહેલની જેમ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સ્મારક સાબિત થશે.


ધનીપૂર મસ્જિદમાં ઇસ્લામના ૫ સ્તંભોના બનશે ૫ મિનારા  

અરાફાત શેખે કહ્યું કે, આ ભારતની પ્રથમ આવી મસ્જિદ હશે, જેમાં ઇસ્લામના પાંચ સ્તંભોના પાંચ મિનારા પણ હશે. ઇસ્લામના પાંચ સ્તંભોનું વર્ણન કરવામાં આવ્યું તે મુજબ તૌહીદ, નમાઝ, રોઝા, જકાત અને હજના મીનાર બનશે. તૌહીદનો અર્થ છે એક અલ્લાહમાં વિશ્વાસ કરવો અને તેની બંદગી કરવી. નમાઝ, દિવસમાં ૫ વખત નમાઝ અદા કરવી. ત્રીજું રોઝા, રમઝાન મહિનામાં વર્ષમાં એક વખત ઉપવાસ કરવો. ચોથું જકાત છે, જેનો અર્થ છે કે આર્થિક રીતે સમૃદ્ધ મુસ્લિમોએ અન્ય મુસ્લિમોને દાન આપવું અને પાંચમુ છે હજ. આર્થિક અને શારીરિક રીતે સક્ષમ મુસ્લિમો માટે હજ ફરજિયાત છે. મુસ્લિમો માટે તેમના સમગ્ર જીવનમાં એકવાર હજ કરવી જરૂરી છે.


વિશ્વનું સૌથી મોટું કુરાન મસ્જીદમાં થશે સ્થાપિત 

આ મસ્જિદમાં વિશ્વનું સૌથી મોટું કુરાન પણ હશે, જે ૨૧ ફૂટ ઊંચું અને ૩૬ ફૂટ પહોળું હશે. તેની ખાસ વાત એ હશે કે તેનો રંગ કેસરી હશે. મુસ્લિમો કેસરીને સૂફી સંત ચિશ્તીનો રંગ માને છે. આ સિવાય મસ્જિદમાં ૫ હજાર પુરૂષો અને ૪ હજાર મહિલાઓ સહિત ૯ હજાર શ્રદ્ધાળુઓ એકસાથે નમાઝ અદા કરી શકશે. મસ્જિદ સંકુલમાં ૫૦૦ બેડની કેન્સર હોસ્પિટલ, સ્કૂલ અને લો કોલેજ, મ્યુઝિયમ અને લાઇબ્રેરી હશે. સંપૂર્ણ શાકાહારી રસોડું પણ હશે, જ્યાં જરૂરિયાતમંદ અને મુલાકાતીઓને ભોજન આપવામાં આવશે. અરાફાત શેખે કહ્યું કે મસ્જિદમાં પ્રથમ નમાજ મક્કાના ઈમામ અથવા ઈમામ-એ-હરમ અબ્દુલ રહેમાન અલ સુદાઈસ કરશે. તેની સાથે આરબ દેશોની મોટી મોટી મુસ્લિમ હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application