4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ નહીં મળે : સત્યપાલ મલિક

  • February 22, 2024 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોસ્પિટલમાં દાખલ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલનું સીબીઆઈના દરોડા પર નિવેદન, અનેકવાર સરકાર સામે કરી ચુક્યા છે વિરોધ


એક તરફ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલના ઘરે દરોડા પાડી રહી છે, અને બીજી બાજુએ તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. સીબીઆઈના દરોડા અંગે મલિકે કહ્યું કે, “હું એક ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરવાનો નથી. હું છેલ્લા ૩-૪ દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં મારા ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યાં તેમને માં ૪-૫ કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે.” મલિકના ઘરે જે કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસ સાથે સંબંધિત છે.


સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે મારા ડ્રાઈવર અને મારા સહાયકને પણ દરોડા પાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરતો નથી, હું ખેડૂતોની સાથે છું. સીબીઆઈની ટીમ મલિકના ઘર સહિત અન્ય ૩૦ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન માટે પહોચી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેની તપાસ કરવાને બદલે મારા નિવાસસ્થાને સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સરમુખત્યાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ન તો ડરીશ કે ન ઝૂકીશ.

​​​​​​​

કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસ રૂ. ૨૨૦૦ કરોડના સિવિલ વર્ક્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મલિકે દાવો કર્યો હતો કે ૨૩ ઓગસ્ટ ૨૦૧૮ થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઇલોને મંજૂરી આપવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. મલિક દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં સીબીઆઈએ બે એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પાવર લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.


ઇ-ટેન્ડરિંગની ગાઈડલાઈન્સનું પાલન ન કરાયું હોવાનો આક્ષેપ

કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે સીવીપીપીપીએલની ૪૭મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. પરંતુ સીવીપીપીપીએલની ૪૮મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયો હતો. કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સ્થિત ચેનાબ નદી પર પ્રસ્તાવિત છે. વર્ષ ૨૦૧૯ માં, મોદી કેબિનેટે આ પ્રોજેક્ટના નિર્માણ માટે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને રોકાણની મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે. તે વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ૪૨૮૭.૫૯ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application