માયાવતીએ ગઠબંધનનો કર્યો સ્પષ્ટ ઇન્કાર, જાણો જન્મદિવસે પ્રેસ કોન્ફરસ યોજી શું કર્યા પ્રહારો?

  • January 15, 2024 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી તેમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી માનવામાં આવી રહ્યું હતું કે માયાવતી તેમના જન્મદિવસ પર કોઇ મોટી જાહેરાત કરી શકે છે. પણ આજના દિવસે માયાવતીએ લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ભાજપ પર પ્રહારો કર્યા છે. માયાવતીએ સપા પ્રમુખ અખિલેશ યાદવને કાચીંડાની જેમ રંગ બદલતા ગણાવ્યા હતા. આ સાથે જ તેણે એક મોટી જાહેરાત કરી છે કે તે એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે. તેમની પાર્ટી કોઈપણ ગઠબંધન સાથે ચૂંટણી લડશે નહીં.


જન્મદિવસ પર પ્રેસ કોન્ફરન્સ યોજી બસપા વડા માયાવતીએ કહ્યું હતું કે દેશમાં લોકસભાની ચૂંટણી માટે હવે ઓછો સમય બચ્યો છે. જો પક્ષના લોકો તેમના માર્ગદર્શન હેઠળ સારા પરિણામ લાવે છે, તો જન્મદિવસ પર આ તેમની ભેટ હશે. આ સાથે જ બસપાનું કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નથી. બસપા એકલા જ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ આ વેળા માયાવતીએ કરી હતી. એટલું જ નહીં માયાવતીએ તો એમ પણ કહ્યું હતું કે, ટોચનું નેતૃત્વ દલિત સમૂદાયનું છે. ગઠબંધન કરવાથી બસપાનો મત અન્ય સાથીપક્ષોને મળી જાય છે પરંતુ સાથી પક્ષોના મતનો લાભ બસપાને નથી મળતો, ખાસ કરીને ઉચ્ચ જાતિના મતો તેવો ઉલ્લેખ માયાવતીએ કર્યો હતો. જ્યારે બસપાએ 1993માં સમાજવાદી પાર્ટી અને 1996માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું ત્યારે કોઈ ફાયદો થયો ન હતો. ગઠબંધનનો બસપા અને માયાવતીનો અનુભવ એ રહ્યો છે કે ગઠબંધનથી બસપાને વધુ નુકસાન થાય છે. આ કારણથી દેશના મોટા ભાગના પક્ષો બસપા સાથે ગઠબંધન કરવા માંગે છે તેમ પણ કહ્યું હતું.


આ પ્રેસ કોન્ફરન્સમાં ઇવીએમ વિશે પણ માયાવતીએ કહ્યું હતું કે, ઈવીએમમાં ​​ઘણી ગરબડ થઈ રહી છે. જેને કારણે બસપાને નુકસાન થઈ રહ્યું છે. ઈવીએમમાં ​​છેડછાડને લઈને અવાજ ઉઠવા લાગ્યા છે અને આશા છે કે ટૂંક સમયમાં ઈવીએમ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બસપાના વડાએ કહ્યું કે, અમારી સરકાર ચાર વખત સત્તામાં રહી છે. અમે દલિતો માટે કામ કર્યું છે. પણ મફત રાશન આપીને બીજાને ગુલામ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધર્મ અને સંસ્કૃતિની આડમાં જે રાજકારણ થઈ રહ્યું છે તે લોકશાહી માટે સારું નથી. બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા મેળવીને જ આપણે સાકાર કરી શકીશું. કોંગ્રેસ, ભાજપ અને તેમના સાથી પક્ષોનું વર્તન જાતિવાદી અને કોમવાદ ભર્યું રહ્યું છે.


બસપા સુપ્રીમો માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં એસસી, એસટી અને અન્ય લોકોને અનામતનો પૂરો લાભ નથી મળી રહ્યો. સપાના વડા અખિલેશ યાદવ પર પણ માયાવતીએ નિશાન સાધ્યું હતું કે તેણે કાચીંડાની માફક રંગ બદલ્યો છે તેનાથી સૌએ સાવચેત રહેવું જોઈએ. માયાવતીના ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે તેથી માયાવતી રાજકારણમાંથી નિવૃત્તિ લે તેવી અફવા ફેલાવવામાં આવી હોવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. માયાવતીને રામમંદિરનું આમંત્રણ મળ્યું છે પણ તેમનાપક્ષના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો તેમણે કોઇ નિર્ણય લીધો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application