જાણો, ટી20 વર્લ્ડ કપ રમવા માટે શું ફટકો પડયો છે રિંકુ સિંહને?

  • January 09, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL-2023થી એક ખેલાડી લાઇમ લાઇટમાં આવી ગયો છે. તે ખેલાડી છે રિંકુ સિંહ. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી ત્યારે રિંકુએ યશ દયાલની ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ત્યારથી સૌ કોઇના મુખે રિંકુ સિંહનું નામ સાંભળવા મળે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ટી-20માં ડેબ્યૂ કર્યું, આ સાથે તેણે ફિનિશર તરીકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા બતાવી છે. રિંકુ સિંહ ભલેને આઇપીએલમાં કે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરે અથવા તો ટીમ ઈન્ડિયા માટે રનમશીન બને છતાં પણ તેના માટે ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્લેઈંગ-11માં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ લાગી રહી છે.


વાસ્તવમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતના પ્લેઈંગ-11માં રિંકુ સિંહને જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ હોવાનું કારણ છે કે, અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. આ કારણે જ પ્લેઈંગ-11માં રિંકુ સિંહના સ્થાનનું સમીકરણ બદલાઈ રહ્યું છે.


T20માં રોહિત અને વિરાટની વાપસી બાદ એવું માનવામાં આવે છે કે આ બંને આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા T20 વર્લ્ડ કપમાં રમશે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં નથી. કેમ કે આ સમયે બન્ને ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ ટી-20 વર્લ્ડકપ પહેલા બંનેના ફિટ થવાની પૂરી સંભાવના છે. એટલે કે પ્લેઇંગ-11માં ચાર સ્થાન નિશ્ચિત થઇ જાય છે. રોહિત ઓપનિંગ કરશે અને તેની સાથે શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ હશે. કોહલી ત્રીજા નંબર પર રહેશે. ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ, પાંચમા પર પંડ્યા અને છઠ્ઠા પર વિકેટકીપર જે જીતેશ શર્મા હોઈ શકે છે. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા હશે. આ ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ રમે તે નિશ્ચિત માનવામાં આવે છે અને અહીંથી સમજી શકાય છે કે રિંકુને પ્લેઇંગ-11માં સ્થાન મળવાની શકયતા નહિવત છે.

​​​​​​​રવિન્દ્ર જાડેજા બાદ બોલરોની યાદી શરૂ થશે જેમાં એક સ્પિનર ​​અને ત્રણ ફાસ્ટ બોલર હશે. પંડ્યા અને સૂર્યકુમાર ફિટ થતા તેમને ટીમમાંથી બાકાત રાખવાની કોઇ શકયતા જણાતી નથી. આ સિવાય વિકેટકીપરનું હોવું પણ આવશ્યક છે. ઇશાન કિશનને ટી-20 વર્લ્ડ કપ રમવામાં મુશ્કેલી પડી રહી છે, આવી સ્થિતિમાં જીતેશના દાવાને સમર્થન મળ્યું છે. આથી, હાલની તકે ટીમમાં રિંકુનું સ્થાન નિશ્ચિત જણાતું નથી.


મહત્વનું છે કે, વર્લ્ડ કપની ટીમમાં રિંકુની પસંદગી થઈ શકે છે. પરંતુ પ્લેઇંગ-11માં જગ્યા બનાવવી તેના માટે લગભગ અશક્ય લાગે છે. જો કે કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો રિંકુ સિંહને પ્લેઈંગ-11માં સ્થાન મળી શકે છે. બીજુ એ કે રોહિત અને વિરાટ પરત ન ફરે તો રિંકુ સિંહનું સ્થાન નિશ્ચિત જણાતું હતું કારણ કે આવી સ્થિતિમાં ગિલ અને જયસ્વાલ ઓપનિંગ કરે અને સૂર્યકુમાર નંબર ત્રણ પર રમે ત્યાર બાદ પંડ્યા ચોથા નંબરે અને રિંકુ સિંહ પાંચમા નંબર પર આવે તેવી શકયતા જણાતી હતી. પરંતુ રોહિત અને વિરાટની વાપસીએ રિંકુના સપનાને ફટકો આપ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application