પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની NIA દ્વારા અટકાયત, આતંકી કનેક્શનની તપાસ

  • May 19, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કસ્ટડીમાં લીધી છે. NIAની ટીમ સોમવારે જ્યોતિની પૂછપરછ કરવા હરિયાણાના હિસાર પહોંચી હતી. ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈને ચંદીગઢ લઈ ગઈ છે. હવે જ્યોતિની આતંકી કનેક્શન અંગે પૂછપરછ કરવામાં આવશે. આ સાથે જમ્મુ ઇન્ટેલિજન્સ પણ યુટ્યુબરની પૂછપરછ કરશે.


આ પહેલાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું હતું. તેના ૧.૩૯ લાખ ફોલોઅર્સ હતા. રવિવાર, ૧૮ મેની રાત્રે પણ હિસાર પોલીસ જ્યોતિના ઘરે પહોંચી હતી. ત્યાં તપાસ કરીને કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ જણાવ્યું છે કે પોલીસ કપડાં અને જ્યોતિનો સામાન લઈ ગઈ છે.


હિસાર પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જ્યોતિ પહેલગામ હુમલા પહેલાં કાશ્મીર ગઈ હતી. તે પહેલગામ, ગુલમર્ગ, ડલ લેક, લદ્દાખની પેંગોંગ લેક સુધી ગઈ હતી. પેંગોંગ ચીન સાથેની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)થી નજીક આવેલું છે. તેણે પોતાના યુટ્યુબ ચેનલ પર આ સ્થળોના વીડિયો શેર કર્યા છે.


યુટ્યુબર પકડાયા બાદ તેના પિતાએ ૩ વાતો કહી...

અમને તો દિલ્હી કહીને જતી હતી: યુટ્યુબર જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ કહ્યું છે કે તેમને કંઈ ખબર નથી. તેમણે કહ્યું- તે (જ્યોતિ) કહીને જતી હતી કે હું દિલ્હી જઈ રહી છું. કાશ્મીર અને પાકિસ્તાન જવા વિશે તેણે ક્યારેય કંઈ જણાવ્યું નથી.


પોલીસ જ્યોતિનો સામાન લઈ ગઈ:
જ્યોતિના પિતાએ કહ્યું- અમારા ઘરે દીકરીનો કોઈ મિત્ર પણ ક્યારેય આવ્યો નથી. ગઈ રાત્રે પોલીસ તેને લઈને ઘરે આવી હતી. પોલીસે ઘર તપાસ્યું અને જ્યોતિના કપડાં અને સામાન લઈને ૧૫ મિનિટમાં ચાલી ગઈ. પોલીસે અમારી સાથે વાત ન કરી અને જ્યોતિ સાથે પણ અમારી વાત થઈ નથી.

તે બહાર પણ વીડિયો બનાવતી હતી, લોકો પાસેથી જાણવા મળ્યું: હરીશે કહ્યું- જ્યોતિ અવારનવાર ઘરે જ વીડિયો બનાવતી હતી. મને તો હવે લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે કે તે બહાર જઈને પણ વીડિયો બનાવતી હતી. જ્યારે પણ તે બહાર જતી હતી ત્યારે દિલ્હીનું કહીને જ ગઈ હતી. મેં ક્યારેય કહ્યું નથી કે તે પાકિસ્તાન ગઈ હતી. તે તો હવે લોકો બોલી રહ્યા છે.

ધરપકડ બાદ 48 કલાકમાં 21 હજાર સબ્સ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સ વધ્યા
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં જ્યોતિની ધરપકડ થયાની જાણ થયા પછી, લોકોએ સોશિયલ મીડિયા પર તેણીને શોધવાનું શરૂ કર્યું. ધરપકડના 48 કલાકની અંદર, તેના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલોએ 21 હજાર સબ્સ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સ મેળવ્યા. રવિવારે (૧૮ મે) તેમના ફોલોઅર્સ ૭ હજાર વધ્યા. 2 દિવસમાં 2 લાખથી વધુ લોકોએ જ્યોતિના ફેસબુક એકાઉન્ટ પર તેને સર્ચ કરી છે. આ ઉપરાંત, યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબર્સ પણ 3.77 લાખથી વધીને 3.86 લાખ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application