ઇન્ડિયા ગઠબંધન તૂટવાના એંધાણ, જાણો ચિંતિત થયેલા નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાહે શું કહ્યું?

  • January 19, 2024 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષોએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપને પછડાટ આપવા માટે ઇન્ડિયા ગઠબંધનની પણ રચના કરવામાં આવી છે. પરંતુ જ્યારથી ગઠબંધન બન્યું છે ત્યારથી આ ગઠબંધન સ્થિર નથી અને ગમે ત્યારે તૂટી શકે છે તેવું આંકવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ભાજપ પણ આ સંદેશ આપતું આવ્યું છે. ત્યારે હવે વિપક્ષના એક કદાવર નેતાએ આ ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. જીહા, વાત થઇ રહી છે ફારુક અબ્દુલ્લાની. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો ટૂંક સમયમાં સીટ વહેંચણી પર સહમતિ નહીં બને તો ઇન્ડિયા ગઠબંધન જોખમમાં છે. તેના કેટલાક સભ્યો અલગ જૂથ બનાવવાનો પ્રયાસ પણ કરી શકે છે.


એક ચર્ચામાં ભાગ લઇ વાતચીત કરતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ઇન્ડિયા ગઠબંધન પર ટિપ્પણી કરી હતી. જ્યારે તેમને મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે સ્પષ્ટતા ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, જો આપણે દેશને બચાવવો હશે તો મતભેદો ભૂલીને દેશ વિશે વિચારવું પડશે. એટલું જ નહીં જો સીટ વહેંચણીની ગોઠવણ નક્કી નહીં થાય તો તે મહાગઠબંધન માટે મોટો ખતરો બની શકે છે. આ સમયબદ્ધ રીતે થવું જોઈએ. ફારૂક અબ્દુલ્લાએ તો ત્યાં સુધી કહી દીધું કે, કેટલાક પક્ષો સાથે મળીને અલગ ગઠબંધન કરે તે સૌથી મોટો ખતરો લાગે છે. હજુ પણ સમય છે. આ બાબતે ઝડપભેર વિચાર કરવો પડશે.


હાલ સીટ શેરીંગ મુદ્દે મનમેળ નથી થઇ રહ્યો ત્યારે અબ્દુલ્લાએ કહ્યું હતું કે, પાર્ટીઓએ એવી સીટો જ માંગવી જોઈએ જ્યાં તેમનું વર્ચસ્વ હોય અને જ્યાં તેમની અસરકારકતા ન હોય ત્યાં સીટો માંગવી એ ખોટું છે. લોકશાહી માત્ર જોખમમાં નથી, આવનારી પેઢીઓ પણ આપણને માફ નહીં કરે. એ પડકાર આપણી સામે છે. જો આપણે આપણા અહંકારને એક તરફ રાખી અને આ દેશને કેવી રીતે બચાવવો તે વિશે એકસાથે વિચારીએ નહીં, તો મને લાગે છે કે તે આપણા તરફથી સૌથી મોટી ભૂલ હશે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ગઠબંધનના સભ્યો તાજેતરમાં દિલ્હીની એક હોટલમાં મળ્યા હતા જ્યાં એ વાત પર સહમતિ બની હતી કે બેઠકો પર સહમત થવા માટે વધુ સમય બાકી નથી.


નેશનલ કોન્ફરન્સના વડા અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ગત વખતે તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ડાબેરી પક્ષો સાથે બેઠકો વહેંચવા માટે તૈયાર નહોતા પરંતુ આ વખતે તેમણે બેઠકમાં ઓફર કરી કે ડાબેરી પક્ષો જયાંથી જીતી શકે ત્યાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે લોકો મમતા વિરુદ્ધ નિવેદનો આપીને મતભેદો વધારી રહ્યા છે. રામ રાજ એટલે બધા માટે સમાનતા. અમે પણ રામરાજના આગમનની રાહ જોઈ રહ્યા છીએ. ભગવાન રામ વિશ્વના રામ હતા અને મને આશા છે કે એક દિવસ રામરાજ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application