યુપીની સીટ વહેંચણી માટે ફરી ઇન્ડિયા ગઠબંધનની બેઠક,  જાણો સપા-કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગ માટે ફસાયેલા પેચ વિશે

  • January 17, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા ઘણા સમયથી એ સમાચાર આવી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરીંગનું કોકડુ ગૂચવાયેલું છે. વખતોવખત ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલા પક્ષના નેતાઓ સીટ શેરીંગનો મામલો ઉકેલાઇ જશે તેવી આશા વ્યક્ત કરતા આવ્યા છે. જોકે આ મુદ્દે હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. આ તરફ કોંગ્રેસ વિવિધ પક્ષો સાથે વાતચીત કરી રહી છે. પરંતુ કોંગ્રેસને હજુ સુધી કોઇ સાથી પક્ષ સાથે મનમેળ થયો નથી.


હવે સમાચાર છે કે, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આજે એટલે કે બુધવારે સાંજે 4 વાગે દિલ્હીમાં સીટ વહેંચણીને લઈને બેઠક થવાની છે. સમાજવાદી પાર્ટી વતી રામ ગોપાલ યાદવ, જાવેદ અલી ખાન, લાલજી વર્મા, ઉદયવીર સિંહ અને સંગ્રામ યાદવ બેઠકમાં હાજરી આપશે. અખિલેશ યાદવ તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ જે સીટો ઇચ્છે છે તેના ઉમેદવારોના નામ પણ જણાવે. એટલે કે સીટ શેરીંગ પહેલા કોંગ્રેસને કેટલી સીટ જોઇએ છે માત્ર એટલું જ નહીં પરંતુ તે કયા ઉમેદવાર પાસેથી ચૂંટણી લડાવવા ઇચ્છે છે તે જાણકારી પણ સમાજવાદી પાર્ટીને આપવી પડશે.


મહત્વની વાત એ છે કે, સમાજવાદી પાર્ટી છોડીને કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાયેલા છે. આવા નેતાઓને કોંગ્રેસ તેમના ઉમેદવાર જાહેર કરવા ઇચ્છે છે. સપાના વડા અખિલેશ આ માટે તૈયાર નથી. જેમ કે, લખીમપુરથી પાંચ વખતના સાંસદ રવિ વર્મા સમાજવાદી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ તેમને ત્યાંથી ટિકિટ આપવા માંગે છે. પરંતુ સમાજવાદી પાર્ટીએ ઉત્કર્ષ વર્માને ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહ્યું છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે દાનિશ અલી મુરાદાબાદથી ચૂંટણી લડે જ્યારે એસટી હસન ત્યાંથી સમાજવાદી પાર્ટીના સાંસદ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર અખિલેશે પોતાના નેતાઓને કહ્યું છે કે, પહેલા કોંગ્રેસ પાસેથી તેમની માંગણી જાણી લેવી. આ તરફ કોંગ્રેસ 2009ની લોકસભા ચૂંટણીમાં તેના પ્રદર્શનના આધારે ઓછામાં ઓછી 23 બેઠકો ઈચ્છે છે. આ તરફ સમાજવાદી પાર્ટીએ પોતાનું હોમવર્ક કર્યું છે અને પોતાના માટે 58 સીટોની યાદી બનાવી છે. યુપીમાં સીટ શેરીંગ માટે ખેંચતાણની સ્થિતિ તો છે છતાં પણ અખિલેશ યાદવ કહે છે કે અમે કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માટે તૈયાર છીએ અને બેઠકોને લઈને કોઈ મડાગાંઠ નહીં થાય. તમને જણાવી દઈએ કે આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને સીટોની વહેંચણીને લઈને ઈન્ડિયા એલાયન્સના નેતાઓ વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ પરિણામ કે સમાધાન આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application