મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજના હેઠળ ડોન્ડી નદી સુધી પાઇપલાઇન લંબાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

  • October 04, 2024 04:20 PM 

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજના હેઠળ ડોન્ડી નદી સુધી પાઇપલાઇન લંબાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
   
કાલાવડ તાલુકાના આણંદપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા સહભાગી થયા

રૂ.૩.૪૮ કરોડના ખર્ચે ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને સિંચાઇ અને પીવાના પાણીનો લાભ મળશે 

જામનગર તા.૪ ઓકટોબર, રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક-૩ના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા પણ સહભાગી થયા હતા. 

ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત આણંદપુર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોને સિંચાઇ અને પીવાના પાણીનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૧૧૬.૫૮લાખના ખર્ચે કુલ ૧૯ ચેકડેમો અને તળાવોના મરામતના કામો થયેલ છે. ૩૨ જેટલા ગામોમાં આશરે ૨૦૦૦ એમ.સી.એફ.ટી. પાણી વિતરણ કરી ચેકડેમો અને તળાવો ભરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી મનહરભાઈ બાબરીયા, રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેરશ્રી શ્રેયસ હરદેયા, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, નાયબ ઈજનેરશ્રી હાર્દિક પીપળીયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application