કોંગ્રેસ માટે 40 સીટો બચાવવી પણ મુશ્કેલ : PM મોદી

  • February 07, 2024 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર વડાપ્રધાનનો આભાર પ્રસ્તાવ ; ફરી કોંગ્રેસીઓ પર આકારા પ્રહાર કરી તેમને ગણાવ્યા દલિત અને આદિવાસી વિરોધી 



આજે ફરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં ચર્ચા માટે ૧૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાને ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હું ખડગે જીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. હું તેમને ખૂબ જ ધ્યાન અને આનંદથી સાંભળતો હતો. લોકસભામાં મનોરંજનની જે કમી હતી તે તેમણે પૂરી કરી છે.

વડાપ્રધાને મોદીએ કહ્યું કે “હું વિચારી રહ્યો હતો કે આટલું બધું બોલવાની આઝાદી કેવી રીતે મળી? ખડગેજીએ સ્વતંત્રતાનો બરાબર  લાભ લીધો છે. લાગે છે કે ખડગેજીએ તે દિવસે ગીત સાંભળ્યું હશે કે ‘એસા અવસર ફિર કબ મિલેગા’.” પીએમએ વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે ખડગે જી અમ્પાયર અને કમાન્ડર વગર ચોગ્ગા અને છગ્ગા મારવાની મજા માણી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તમે મારો અવાજ દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. આ વખતે હું પણ પૂરી તૈયારી કરીને આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે હું કહું છું કે આ વખતે કોંગ્રેસને ૪૦ સીટો પણ નહીં મળે.

પોતાના સંબોધનમાં પીએમે કહ્યું કે જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને બદલે પોતાના જ નેતાઓને ભારત રત્ન આપતા રહ્યા. પોતાના જ નેતાઓની ગેરંટી ન ધરાવતી કોંગ્રેસ મોદીની ગેરંટી સામે સવાલો ઉઠાવે છે. કોંગ્રેસે નક્સલવાદને મોટા પડકાર તરીકે છોડી દીધો. દેશની વિશાળ જમીન છોડી. આઝાદી પછીથી કોંગ્રેસ મૂંઝવણમાં હતી. રાષ્ટ્રીયકરણ કરવું કે ખાનગીકરણ કરવું તે કોંગ્રેસ નક્કી કરી શકી નથી. વડાપ્રધાને કહ્યું કે જે સરકારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને રાતોરાત હટાવી દીધી, જે કોંગ્રેસે અખબારોને તાળા મારવાનો પ્રયાસ કર્યો આ બધું ઓછું નથી તો હવે તે ઉત્તર-દક્ષિણ તોડવાના નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસે ભાષાના નામ પર તોડમરોડ કરવામાં કોઈ કસર છોડી નથી. આ પહેલા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન પણ તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું.



કોંગ્રેસની સત્તાની લાલચે સમગ્ર લોકશાહીનું ગળું દબાયું : વડાપ્રધાન 

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આ પાર્ટી વિચારમાં પણ જૂની થઈ ગઈ છે. હવે તેણે પોતાનું કામ પણ પતાવી દીધું છે. તમારી પાર્ટી પ્રત્યે અમારી સંવેદના છે. આજે ઘણી મોટી વસ્તુઓ થાય છે. કોગ્રેસે તેને સાંભળવાની શક્તિ પણ ગુમાવી દીધી છે. કોંગ્રેસની સત્તાની લાલચે સમગ્ર લોકશાહીનું ગળું દબાવી દીધું હતું.


“અંગ્રેજોથી પ્રભાવિત હતી કોંગ્રેસ”

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ અંગ્રેજોથી પ્રભાવિત હતો. આઝાદી પછી પણ દેશમાં ગુલામીની માનસિકતાને કોણે પ્રોત્સાહન આપ્યું? જો તમે અંગ્રેજોથી પ્રભાવિત ન હતા તો તમે તેમના દ્વારા બનાવેલા સિવિલ કોડમાં ફેરફાર કેમ ન કર્યો ?. જો તમે તેમનાથી પ્રભાવિત ન હતા તો આટલા વર્ષો સુધી આ લાલ બત્તી સિસ્ટમ કેમ ચાલુ રહી? સાંજે પાંચ વાગ્યે બજેટ બનાવવાની પરંપરા કેમ ચાલુ રાખવામાં આવી? જો તમે અંગ્રેજોથી પ્રભાવિત ન હતા તો ગુલામીના ચિન્હો કેમ રહેવા દીધા? આંદામાન અને નિકોબાર પર બ્રિટિશ શાસનના ચિહ્નો હજુ પણ શા માટે લટકતા હતા? આજે અમે હવે બધું બદલી રહ્યા છીએ. 


વડાપ્રધાન નેહરુના પત્રનો પણ પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'એકવાર નેહરુએ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, મને કોઈ અનામત પસંદ નથી અને ખાસ કરીને નોકરીમાં અનામત ન હોવા જોઈએ. હું આવા કોઈપણ પગલાની વિરુદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે, જે બીજા દરના ધોરણો તરફ દોરી જાય છે. પંડિત નેહરુએ મુખ્ય પ્રધાનોને લખેલો આ પત્ર છે. તેથી જ હું કહું છું કે કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ એસસી-એસટીનો વિરોધ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ લાગુ થવા દીધું નથી. કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જ આટલા દાયકાઓ પછી એસસી-એસટી-ઓબીસીને તે અધિકારો મળ્યા જે દેશના લોકોને વર્ષોથી મળતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application