ક્લિક કરી જાણો શા માટે અયોધ્યામાં નગર ભ્રમણ નહીં કરે રામલલા? અચાનક કાર્યક્રમ થયો રદ

  • January 09, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteamઆગામી તા.22 જાન્યુઆરીના રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાવાનો છે. ત્યારે અયોધ્યા ખાતે તો આ મહોત્સવની ઉજવણી પહેલા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થાય તે પહેલા અયોધ્યા ખાતે તેમના નગર ભ્રમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે અયોધ્યાવાસીઓમાં હરખની હેલી છવાઇ હતી કે ભગવાન રામ તેમના દરવાજે આવી દર્શન આપશે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે રામલલાની પ્રતિમાનો શહેર પ્રવાસ એટલે કે નગર ભ્રમણનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.


આપને જણાવી દઇએ કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહ પહેલા મંદિર ટ્રસ્ટે 17 જાન્યુઆરીએ પ્રસ્તાવિત દેવ વિગ્રહ એટલે કે રામલલાની પ્રતિમાનો શહેર પ્રવાસ કાર્યક્રમ રદ કરી દીધો છે. આ અંગે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર અયોધ્યા શહેરમાં નગર ભ્રમણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આયોજન રદ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ આયોજનમાં બદલાવ કરવામાં આવ્યા છે. એટલે કે ટ્રસ્ટ એ જ દિવસે, 17 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિર સંકુલની અંદર રામ ભગવાનની પ્રતિમાના પ્રવાસની વ્યવસ્થા કરશે.


આ સાથે જ 17 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે નગર ભ્રમણના કાર્યક્રમને રદ કરવાનું કારણ પણ સામે આવ્યું છે. આ બાબતે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓની સલાહ પર ટ્રસ્ટે સુરક્ષાના કારણોથી આ પ્રસ્તાવિત કાર્યક્રમને રદ કર્યો છે. મહત્વનું છે કે કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો.


વાત આટલેથી ન અટકતા અયોધ્યા પ્રશાસને જણાવ્યું હતું કે, ટ્રસ્ટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે રામભગવાનની પ્રતિમા શહેરમાં લઈ જવામાં આવશે ત્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે અને પ્રશાસન માટે ભીડને નિયંત્રિત કરવી ખૂબ જ મૂશ્કેલ બનશે. આમ, રામ ભગવાનના નગર ભ્રમણ માટેનું આયોજન સુરક્ષાના કારણોસર રદ કરી દેવામાં આવ્યું છે અને રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં જ રામ ભગવાનના પ્રવાસની વ્યવસ્થા કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application