ક્લિક કરી જાણો રામ મંદિર નિર્માણની વિશેષતાઓ વિશે

  • January 04, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તૈયાર છે. રામલલાની ત્રણ પ્રતિમાઓમાંથી એક પ્રતિમાની પણ પસંદગી કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરની વિશેષતાઓ વિશે જાણકારી આપી હતી.


રામ જન્મભૂમિ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, "રામ મંદિરનું નિર્માણ ત્રણ માળમાં થઈ રહ્યું છે, જે પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ તેમજ ઊંચાઈ 161 ફૂટ છે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો રાખવામાં આવ્યો છે. તેમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. મુખ્ય ગર્ભગૃહમાં શ્રી રામલલાની મૂર્તિ અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે."


70 એકરના ઉત્તરીય ભાગમાં રામમંદિરનું બાંધકામ

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ ચંપત રાયે સમગ્ર મંદિરનો નકશો રજૂ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, "મંદિરનું નિર્માણ 70 એકર જમીનના ઉત્તર ભાગમાં થઈ રહ્યું છે. અહીં ત્રણ માળનું મંદિર બની રહ્યું છે. મંદિરના ભોંયતળિયાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જયારે કે પ્રથમ માળનું બાંધકામ ચાલી રહ્યું છે."


તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ પણ મંદિરના નિર્માણ સંબંધિત અન્ય માહિતી અંગે જાણકારી આપી હતી. મંદિરમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન મંડપના રૂપમાં પાંચ મંડપ હશે. મંદિરના સ્તંભ સુધી પહોંચવા માટે 32 પગથિયા ચઢવા પડશે. મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ છે,  જેની લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ છે. આ દિવાલના ચારેય ખૂણે ભગવાન સૂર્ય, મા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવની સાથે વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યાના મંદિરો માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો રામ જન્મભૂમિ પરિસરમાં સૌ કોઇના રામની અવધારણા સાકાર કરવાની બાબતને લક્ષમાં રાખી રામાયણ કાળના માતૃશક્તિના મંદિરો પણ બનાવવાનું આયોજન છે. આ સાથે જ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ પણ રામજન્મભૂમિ મુક્તિ સંગ્રામના સંક્ષિપ્ત ઇતિહાસનું વિવેચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application