અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

  • January 05, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડના સાયન્સ સિટીને પણ ધમકી મળી: સ્મારક ભવનમાં ચાલી રહ્યો હતો શાળાનો કાર્યક્રમ, ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા, બોમ્બ સ્કોડ અને એસઓજીની ટીમે શરુ કરી તપાસ

આજરોજ અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇ મેઈલથી ભવનને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

ઈ-મેઈલ મળતાં જ ભવનમાં ચાલી રહેલો શાળાનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ધમકીને લઈ બોમ્બ સ્કવોર્ડ અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સ્મૃતિ સ્મારકમાં આજે એક કાર્યક્રમ ચાલુ હતો. જેમાં આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. તે જ સમયે સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસના ઇમેઇલ આઈડી પર આ ધમકીભર્યો ઇમેઇલ આવ્યો હતો. જે પછી સુરક્ષા હેતુ તાત્કાલિક કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીઓને બહાર ખસેડી દેવામાં આવ્યા હતા.

સરદાર સ્મૃતિ સ્મારકમાં સાંજે પણ એક વીવીઆઈપી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. એસઓજીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મેસેજ મળતા જ એજન્સીઓએ સતર્ક બનીને સ્થળ પર તપાસ શરુ કરી છે.

મહત્વનું છે કે આજે વલસાડમાં પણ આ જ પ્રકારના બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. વલસાડમાં સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ઇમેઇલ મળ્યો છે. કલકત્તા ખાતે આવેલી ઓફિસને મેઇલ બાદ વલસાડમાં પણ આવો મેઇલ મળ્યો હતો અને હવે અમદાવાદમાં પણ આવો ઇમેઇલ મળ્યો છે. જેને લઇને સતર્કતા વધારી દેવામાં આવી છે. વલસાડમાં સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવાયું છે. જે પછી ધરમપુરના મ્યુઝિયમમાં પોલીસે તપાસ શરુ કરી છે. મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર ખાલી કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application