કાલે ભાવેણાના ગગનમાં જામશે રંગબિરંગી પતંગોનું યુદ્ધ

  • January 13, 2023 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મકરસંક્રાંતિ પર્વ નિમિતે પતંગ ,દોરી ,ફિરકી, ગોગલ્સ ,કેપ ,સહિતની ધુમ ખરીદી, રીલ પાવા ટોળા જામ્યા:કાલે રાત્રે ધનારક પૂર્ણ થતા લગ્ન સીઝન પુનઃ જામશે


આવતીકાલે ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પર્વ છે ત્યારે ભાવેણાના ગગનમાં પતંગ યુદ્ધ જામશે. પતંગ પર્વને ઉજવવા માટે પતંગ, દોરી,ફિરકી, ગોગલ્સ, કેપ વગેરેની ધૂમ ખરીદી નીકળી છે. આવતીકાલે શનિવારે રાત્રે ૮.૫૬ કલાકે  ધનારક પૂર્ણ થતા પુનઃલગ્ન સિઝન જામશે.


દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉતરાયણ પર્વ મનાવવામાં આવે છે. જે નિમિત્તે પતંગ રસીયાઓ આખો દિવસ ગગનમાં પતંગના પેચ લડાવતા હોય છે. આકાશમાં રંગબેરંગી પતંગ યુદ્ધ નિહાળવા જેવું હોય છે. પતંગ પર્વને ઉજવવા માટે પતંગ રસિયાઓ દ્વારા પતંગ, ફીરકી ,દોરી  તેમ જ દોરી પાવા ની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ કરી દેવાઈ છે. તો ગોગલ્સ, કેપ, પંપુડા, ફુગ્ગા સહિતની પણ ખરીદી કરવામાં આવી છે.આજે મોડી રાત્રી સુધી દોરીને માંજો પાવાનું શહેર અને જિલ્લામાં શરૂ રહેશે.રાત્રી સુધી શહેરની બજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામશે.


ઉતરાયણ ના તહેવાર નિમિત્તે અનેક લોકો ઘરે સિંગ ,દાળિયા, તલ અને મમરા ની ચીકી અને લાડુ બનાવે છે તો અનેક પરિવારો બજાર માં મળતા તૈયાર લાડુ અને ચીકીની ખરીદી કરે છે.

તદુપરાંત કાળી અને સફેદ શેરડી તેમજ બોર વગેરેની ખરીદી કરે છે.


ઉતરાયણ પર્વ મનાવવા માટે કાલે શનિવારે શહેરના ફરસાણ અને મીઠાઈના વેપારીઓને પણ તડાકો પડશે .મોટાભાગે લોકો ઊંધિયું  આરોગતા હોય છે. તેની સાથે જલેબી અથવા અન્ય મીઠાઈ ની પણ મોટા પ્રમાણમાં ખરીદી થશે.


કાલે શનિવારે વહેલી સવારથી પતંગપ્રેમીઓ અગાસી અને ધાબા પર ચડી જશે અને પતંગ ચગાવશે. પતંગ ચગવા માટે પણ પવનની અનુકૂળતા હોવી જોઈએ.કારણ કે સાવ ઓછો પવન હોય કે વધુ પડતો પવન હોય તો પતંગ ચગાવવામાં મુશ્કેલી પડે છે. પતંગ પ્રેમીઓ એ કાપ્યો... અને જો જાય... એવા અવાજો થી વાતાવરણ ગજવી મુકશે. પતંગ પ્રેમીઓ મ્યુઝિક સિસ્ટમ ગોઠવી પતંગની સાથે સાથે સંગીતનો પણ આનંદ માણશે. સાંજે સંગીતની સાથે ડાન્સ પણ જામશે અને કેટલાક લોકો ફટાકડા ફોડશે.


કાલે રાત્રે ૮.૫૬ કલાકે  ધનારક પૂર્ણ થતા આગામી તારીખ ૧૭ જાન્યુઆરી થી લગ્ન સિઝન જામશે. લગ્ન ઉપરાંત બીજા અનેક શુભ કાર્યો પણ પુનઃ શરૂ થશે.


ઉતરાયણ પર્વ પર દાન પુણ્યનું અનેરૂ મહત્વ


ઉતરાયણ પર્વ નિમિતે લોકો દાન પુણ્ય કરતા હોય છે. લોકો ગાયોને ઘાસચારો અને બાજરી ખવડાવે છે .તદુપરાંત બ્રાહ્મણોને પણ ચીકી, તલ ,ધોતી તેમજ અન્ય વસ્તુનું દાન કરવામાં આવે છે. બહેન ,દીકરીઓને સાત ધાનનો  રાંધેલો ખીચડો  ભાઈ બહેનના ઘેર આપવા જાય છે.લોકો રાશિ અનુસાર પણ દાન કરતા હોય છે.આ વર્ષે કાલે રાત્રે ૮.૫૬ કલાકે સૂર્ય મીન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે.આથી રવિવારે સૂર્યોદયથી સાંજે ૫.૩૦ કલાક સુધી દાન કરવાનો પુણ્ય સંક્રાંતિ કાળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application