નગરમાં યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

  • April 20, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ત્રણ સંતાનોના પિતા એવા રીક્ષાચાલક યુવાનનું પગલું


જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા ત્રણ સંતાનોના પિતા એવા રીક્ષા ચાલક યુવાને આર્થિક સંકળામણના કારણે જિંદગીથી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે જે બનાવને લઈને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને ભાડાની રીક્ષા ચલાવતા દિનેશ ટપુભાઈ પરમાર નામના ૪૫ વર્ષના યુવાને આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર છતના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતક ની પત્ની જેઠીબેન દિનેશભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના એએસઆઈ ફિરોજભાઈ દલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છૂટક ભાડા ની રીક્ષા ચલાવતો હતો, અને પોતાના બે પુત્રી અને એક પુત્ર સહિતના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આત્મહત્યા કરી લીધી છે. જેથી તેના ત્રણ સંતાનો નોંધારા બન્યા છે, અને સમગ્ર પરિવારે હૈયાફાટ રુદન કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application