દેવળીયા નજીક બાઇકની હડફેટે ઈ-બાઈક ચાલક તરુણીનું મૃત્યુ

  • January 03, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા: કલ્યાણપુર નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત

કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતી રક્ષાબેન મનસુખગર મેઘનાથી નામની ૧૭ વર્ષની તરુણી ગઈકાલે મંગળવારે બપોરના સમયે પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને દેવળીયાથી ચાચલાણા ગામ તરફ આવી રહી હતી, ત્યારે જી.જે. ૧૦ એન. ૯૦૬૬ નંબરના એક મોટરસાયકલના ચાલકે રક્ષાબેનની ઈ-બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જી, આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું બાઈક મૂકીને નાસી છૂટ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે મૃતકના પિતા મનસુખગર પ્રેમગર મેધનાથીની ફરિયાદ પરથી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજાએ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના આંબલા ગામે રહેતા ઝરીનાબેન હાજીભાઈ ઈસ્માઈલભાઈ ચાવડા નામના ૪૦ વર્ષના મુસ્લિમ મહિલા ગત તારીખ ૩૦ ના રોજ તેમના પતિના મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ એફ ૦૫૦૭ પર બેસીને પોતાના ઘરેથી દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે કલ્યાણપુરથી આશરે ૩૦ કિલોમીટર દૂર હરિયાવર ગામના પાટીયા પાસે પહોંચતા તેઓની બાઇક આડે એકાએક કૂતરું ઉતર્યું હતું. જેના કારણે મોટરસાયકલમાં મારવામાં આવેલી તાકીદની બ્રેકના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ હતી. જેથી ઝરીનાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે તેણીના પતિને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. જે અંગેની રાજપરા ગામના કાદરભાઈ તારમામદભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ભેનકવડ રહેતા દિલનવાજ મુસાભાઈ ઉનારાણી નામના ૨૧ વર્ષના યુવાનને પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરતી વખતે શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પિતા મુસાભાઈ કાસમભાઈ ઉનારાણીએ ભાણવડ પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application