ખંભાળિયામાં ચા ની હોટલમાંથી રૂ. ૩.૩૦ લાખની રોકડની ચોરી

  • February 19, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલના કબાટમાં રાખવામાં આવેલી રૂપિયા ૩.૩૦ લાખની રકમ ચોરી થયાનું ખુલવા પામ્યું છે.
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા જેવા ટ્રાફિકથી વ્યસ્ત માર્ગ પર આવેલી ભગાભાઈની ચા ની હોટલ ખાતે ગત તારીખ ૫ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન કબાટમાં રાખવામાં આવેલા વેપાર સહિતના રૂ. ૩,૩૦,૦૦૦ ની રોકડ રકમ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં દુકાન માલિક દિપકભાઈ ગોવિંદભાઈ જોશી (ઉ.વ. ૪૯) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલા છે કે કેમ તે સહિતની બાબતે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં બે આસામીઓના રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો: રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ ચોરાયો

ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા બે આસામીઓના રહેણાંક મકાનમાં રવિવારે તસ્કરોએ ત્રાટકી, દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂપિયા ૧.૧૨ લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર ગામની સીમમાં લાલપુર રોડ પર રહેતા વિજયભાઈ કાનજીભાઈ ચોપડા નામના ૩૫ વર્ષના સતવારા યુવાનના રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી અને રવિવારે સવારે ૮ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમના ઘરમાં રહેલા કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૪૫,૦૦૦ રોકડા તથા રૂપિયા ૮,૫૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૫૩,૫૦૦ નો મુદ્દામાલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા.
આટલું જ નહીં, આ વિસ્તારમાં રહેતા અન્ય એક આસામી રાજેન્દ્રભાઈ લખુભાઈ નકુમના રહેણાંક મકાનમાંથી પણ આ જ રીતે તસ્કરો કબાટમાં રહેલા રૂપિયા ૨૫,૦૦૦ રોકડા તથા રૂપિયા ૩૩,૫૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા ૫૮,૫૦૦ નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા.
આમ, ધરમપુર વિસ્તારમાં રહેતા બે આસામીઓના રહેણાંક મકાનમાંથી કુલ રૂપિયા ૧,૧૨,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે વિજયભાઈ ચોપડાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૪ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
***
જામનગર  શહેરથી એક સાથે બે પાડોશીઓના બાઈક ની ચોરી
જામનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી નું પ્રમાણ વધવા પામ્યું છે. ત્યારે શહેર નજીક નાં દરેડ માર્ગે આવેલ સોસાયટીમાંથી એક સાથે બે બાઈક ની ઉઠાંતરી થયા ની પોલીસ માં ફરિયાદ નોંધાઇ છે.
જામનગરના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ નાં  શિવધારા -૧ શોશાયટી -૧ ,શેરી નંબર ૪ માં રહેતા મહેન્દ્રભાઈ બાબુભાઈ ચોવટીયા એ ગત તારીખ ૪/૨/૨૪  ના પોતાનું રૂપિયા ૩૦ હજાર ની કિંમતનું જી જે ૩૬- એચ - ૩૬૨૬ નંબર નું બાઈક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું ત્યારે રાત્રિના સમયે કોઈ તેના આ બાઈકની ઉઠાંતરી કરી  લઈ ગયા હતા
જ્યારે તેની પડોસ માં જ રહેતા વૈભવભાઈ પ્રવીણભાઈ બુસા એ  પણ પોતાના ઘર પાસે પાર્ક કરેલ રૂ.૨૦ હજાર  ની કિંમતનું જી જે ૧૦ બી ઇ - ૦૩૬૦ નંબર નું બાઈક પાર્ક કર્યું હતું.ત્યાંથી તાં. ૪/૨/૨૪ ની રાત્રી નાં સમયે કોઈ તસ્કરો તેમનું બાઈક ઉઠાંતરી.કરી લઇ ગયા હતા. આ બંને બાઇક ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાય છે.
***
કાલાવડ તાલુકા  નાં રણુજા નાં મેળા ગયેલ યુવાન નો મોબાઇલ ફોન ચોરાયો
જામનગર તાં. ૧૮, કાલાવડ માં રહેતો યુવાન તાલુકા ના રણુજા ગામે યોજાયેલા મેળામાં મોજ માણવા ગયો હતો. ત્યારે કોઈ તસ્કરો  તેના ખિસ્સામાંથી રૂપિયા ૨૦ હજાર  ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હતા. કાલાવડ માં રહેતો હાર્દિક હરેશભાઈ ત્રિવેદી નામનો યુવાન ગત તાં. ૨૪/૯/૨૩ નાં કાલાવડ તાલુકાના હરીપર( દેવપુર) રણુજાના માં આયોજિત રામદેવપીર ના મેળા માં મોજ માણવા માટે ગયો હતો .ત્યારે કોઈ તસ્કરો તેના શર્ટ ના ખિસ્સામાંથી રૂપિયા ૧૯,૯૯૯ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે તેણે ગઈકાલે પાંચ માસ પછી પોલીસે ફરિયાદ નોંધી હતી.અને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application