રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં થયો વધારો, આ ડેમના ખોલાયા દરવાજા

  • July 22, 2024 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોની સપાટીમાં વધારો થયો છે. મોજ, વેણુ-2, ફુલઝર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાનેલી ડેમ 80% ભરાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.


વિગત વાર વાત કરીએ તો રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ તરફથી મળેલ સૂચના અનુસાર ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના 2 તથા જામનગર જિલ્લાના ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 


ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકા પાસે આવેલ વેણુ-2 ડેમના 8 દરવાજા 12ઃ35 કલાકે 0.9 મીટર અને મોજ ડેમના 10 દરવાજા 1.52 મીટર ખોલવામાં આવ્યા છે. આથી ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમની હેઠવાસમાં આવેલા વરજાંગ જાળીયા, ગધેથડ, મેખા-ટીંબી, નાગવદર અને નિલાખા અને મોજ ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે. 


આ સાથે જ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ફુલઝર(કે.બી.)ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજાને 0.9 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચરેલીયા, ખારચીયા અને રાજાપરા ગામના લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત પાનેલી નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી 53.30 ફૂટ છે. હાલ ડેમની સપાટી 51.40 ફૂટ હોય, ડેમ 80% ભરાયેલ છે. ઉપરવાસમાં પાણીની આવકમાં વધારો થશે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે તેમ હોઈ ડેમની નીચવાસમાં આવતા પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર અને ચરેલિયા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application