વરસાદથી તબાહી: આસામમાં મૃત્યુઆંક 78 ઉત્તરાખંડ અને ગોવામાં પણ સ્થિતિ ગંભીર

  • July 08, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેટલાયે ભાગમાં વરસાદે તબાહી મચાવી છે. આસામમાં ભારે વરસાદના કારણે વધુ 8 લોકોના મોત થયા છે, જે બાદ આસામમાં પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે આસામમાં વરસાદને કારણે 28 જિલ્લાના લગભગ 23 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. વરસાદનું પાણી કોઈના ઘરમાં ઘૂસી ગયું છે, જ્યારે ઘણા લોકો પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે.
વરસાદને કારણે ગોવાની હાલત પણ ખરાબ છે. રસ્તાઓની સાથે સાથે અનેક જગ્યાએ લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓને ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં સ્થિતિ યથાવત છે. નૈનીતાલમાં ભારે વરસાદને કારણે વહીવટીતંત્રે સતત છઠ્ઠા દિવસે શાળાઓમાં રજા જાહેર કરી છે. ભારે વરસાદને જોતા વિભાગે બાગેશ્વર જિલ્લાની તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં 8મી જૂલાઈએ રજા જાહેર કરી છે. ભારતના પડોશી દેશ નેપાળમાં પણ વરસાદના કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે.
આસામમાં પૂરના કારણે વધુ આઠ લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (અજઉખઅ) અનુસાર, ધુબરી અને નલબારીમાં બે-બે મૃત્યુ નોંધાયા છે, જ્યારે કછાર, ગ્વાલપાડા, ધેમાજી અને શિવસાગરમાં એક-એક મૃત્યુ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં આસામના 22 લાખ 74 હજાર 289 લોકો પ્રભાવિત થયા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત લોકો ધુબરીના છે. અહીં 7 લાખ 54 હજાર 791 લોકો પ્રભાવિત થયા છે. આ પછી કછાર બીજા સ્થાને છે, જ્યાં 1 લાખ 77 હજાર 28 લોકો પ્રભાવિત થયા છે. આ પછી ત્રીજા સ્થાને બારપેટા છે, જ્યાં 1 લાખ 34 હજાર 328 લોકો અસરગ્રસ્ત છે. બે દિવસ પહેલા શનિવાર સુધી 29 જિલ્લામાં અસરગ્રસ્તોની સંખ્યા 23 લાખ 96 હજાર 648 હતી. રાજ્યમાં કુલ 269 રાહત શિબિરો ચલાવવામાં આવી રહી છે, જેમાં 53,689 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.  નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં છેલ્લા ચાર સપ્તાહમાં વરસાદના કારણે 62 લોકોના મોત થયા છે. 90 લોકો ઘાયલ પણ થયા છે. આ મૃત્યુ પાછળના મુખ્ય કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. 34 લોકો ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 28 લોકો અવિરત વરસાદના કારણે પૂરમાં મૃત્યુ પામ્યા હતા. આ કુદરતી આફતોના કારણે સાત લોકો ગુમ પણ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application