સુરત: ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ફરી વળ્યું બુલડોઝર, પોલીસે કહ્યું કોઈને છોડીશું નહીં

  • September 09, 2024 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)











સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે જ સાંભળવા મળ્યા છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા.





ઉલ્લેખનીય છે કે સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારમાં કોમ્બિગ શરુ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.



આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો.





લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તો ફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો.



આ ઘટનાના બીજે દિવસે એટલે કે આજે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application