જામનગરમાં દિવાળીના તહેવારો ટાંણે જ ગરીબો મુશ્કેલીમાં: રેશનીંગની હડતાલ

  • November 01, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની ૯૦, જિલ્લાની ૩૦૦ સસ્તા અનાજની આજથી હડતાલના કારણે બંધ થતાં સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાશે: પગાર અને કમીશનના મુદે આજથી લડત શરુ

રાજયમાં દર વખતે સાતમ-આઠમ કે દિવાળી ટાંકણે જ સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓ શસ્ત્ર ઉગામીને હડતાલ પાડે છે અને જેનાથી ગરીબોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, દિવાળીને માત્ર ૧૧ દિવસ બાકી છે તેવા સમયે જ કમીશન અને પગાર વધારાની માંગણી સાથે જામનગર શહેરના ૯૦ અને જિલ્લાના આશરે ૩૦૦ જેટલા દુકાનદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામીને દુકાન બંધ કરી દીધી છે ત્યારે તહેવારના સમયમાં જ ગરીબોને વધુ મુશ્કેલી પડશે.
રાજયના સસ્તા અનાજના ૨૦ હજાર જેટલા દુકાનદારોએ સરકાર પાસે વધુ કમીશન આપવા તેમજ પગાર વધારવા ઉગ્ર માંગણી કરી છે અને જયાં સુધી આમા કોઇ વધારો નહીં થાય ત્યાં સુધી અમો દુકાન નહીં ખોલીએ એવી ચિમકી પણ આપી છે, સરકાર દ્વારા વધારાનું સિંગતેલ, પામોલીન અને ખાંડનો જથ્થો પરમીટધારકોને આપવામાં આવે છે, પરંતુ આજથી હડતાલ શરુ થતાં હવે ગરીબોને આ જથ્થો કયારે મળશે તે અંગે કાંઇ નકકી થયું નથી, પરંતુ જિલ્લામાં ૩૦૦ દુકાનદારોએ આજથી જ માલ આપવાનું બંધ કરી દીધું છે.
અમુક પરમીટધારકોને સરકાર દ્વારા અપાતો જથ્થો મળે છે, સસ્તા ભાવમાં ચણા, ચોખા પણ આપવામાં આવે છે જેનાથી ગરીબોને ખુબ જ લાભ થાય છે, અગાઉ સરકારે ઘઉં પણ પરમીટધારકોને આપ્યા હતાં જેનાથી લોકોને ખુબ જ રાહત થઇ હતી. હડતાલનું શસ્ત્ર ઉગામાતા ગરીબોને જથ્થો કયારે મળશે તે અંગે કોઇ નકકી નથી, જો હડતાલ વધુ ચાલે તો સરકારે કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવી પડશે.
ગરીબોને ચણા અને ચોખા સાવ સસ્તા ભાવમાં મળે છે ત્યારે દિવાળીના તહેવારોમાં સરકારની વિશેષ સ્કીમમાં સિંગતેલ, પામોલીન અને કપાસીયા તેલ આપવામાં આવતું હોય છે પરંતુ આજથી જ આ દુકાનો બંધ થઇ જતાં પરમીટધારકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application