કોઠારીયા ગામ નજીક ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

  • December 20, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાનપેટીની રકમ તથા ચાંદીની નાની મોટી મૂર્તિઓ મળી ૯૬ હજારની ચોરી

જોડીયા તાલુકાના કોઠારીયા ગામથી આમરણ તરફ જતા કાચા રસ્તા પર આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને દાન પેટીની રકમ તથા પાંચ નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત રુા. ૯૬ હજારની માલમતાની ચોરી કરી ગયાની પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહીને ખેતી કામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ રેશિયાએ જોડીયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે, અને કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા ચાંદીના નાગ તથા નાની મોટી મૂર્તિઓ વગેરે મળી રુા. ૯૧ હજારના  આભૂષણો ની ચોરી કરી હતી.
 જ્યારે મંદિરમાં રાખેલી દાનપેટીના પણ તાળા તોડી તેમાંથી ૫,૦૦૦ના પરચુરણની ચોરી કરી લઈ ગયા હતા, જેથી કુલ ૯૬,૦૧૩ની માલમતાની ચોરી અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.
 જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ. ઝાલા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ અને પ્રાથમિક વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી, મંદિરમાં ચોરી થયાનો બનાવ સામે આવતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી, ઉલ્લેખનીય છે કે ઠંડીના દિવસોમાં તસ્કરો જુદા જુદા વિસ્તારોમાં હાથફેરો કરી રહયા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application