પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં ભારે વરસાદની સ્થિતિ અંગે સર્કિટ હાઉસ દ્વારકા ખાતે સમીક્ષા બેઠક

  • July 27, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રો-એકટીવ અપ્રોચ સાથે નાગરિકોની સલામતીને અગ્રતા આપવા પ્રભારી મંત્રીશ્રી જરૂરી સૂચનો કર્યા

જિલ્લામાં રોગચાળો પ્રસરતો અટકાવવા અગમચેતીના ભાગરૂપે કલોરીનેશન, દવા છંટકાવ તેમજ સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા વહીવટી તંત્રને કરી તાકીદ

રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સર્કિટ હાઉસ દ્વારકા ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.

ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપતા નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે ૧૪૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની સ્થિતિ પગલે કુલ ૫૯ જેટલા લોકો રેશ્ક્યું તેમજ ૩૦૩ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદની સ્થિતિને પરિણામે જિલ્લામાં કુલ ૨૪ પશુ મૃત્યુ થયા છે જેમાંથી ૨૨ પશુઓની સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિ જોઈએ તો કુલ ૯૪૬ વીજપોલ ક્ષતિગ્રસ્ત પામ્યા હતા જેમાંથી ૬૮૫ જેટલા વીજપોલના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના પોલની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત જિલ્લામાં ૧૩ હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે.

સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યા બાદ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભારે વરસાદની સ્થિતિ પગલે નાગરિકોની સલામતી ધ્યાને લઇ  રોગચાળો ફેલાતો અટકાવવા માટે અગમચેતીના પગલા જેવા કે   દવાનો છંટકાવ કરવા  ઉપરાંત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના માર્ગો ત્વરિત સમારકામ કરવા તથા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ભારે વરસાદ કારણે ખેડૂતો પાક ધોવાણના કિસ્સામાં સર્વે કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી. તેમજ પીવાના પાણી અને તળાવો, ચેક ડેમો સ્થિતિ સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો આપ્યા હતાં. ઉપરાંત જિલ્લામાં અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ કુદરતી આપદામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ કામગીરીને બિરદાવી અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં .

સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, દ્વારકા પ્રાંત અધિકારી શ્રી એચ.બી.ભગોરા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, અગ્રણી શ્રી લુણાભા સુમણીયા, યુવરાજસિંહ વાઢેર, નાથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, ધરણાતભાઈ સહિત સંગઠનના હોદેદારો, સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application