રામનવમીના પાવનકારી પર્વ પહેલાંજ 'ભક્તિ ફેરી' ના માધ્યમથી રામ-મય બન્યું 'છોટી કાશી'

  • April 15, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ ૧૭.૪.૨૦૨૪ ને બુધવારના દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની આરાધનાનું પર્વ રામનવમી આવી રહ્યું હોઈ, તે પહેલાં જ છોટી કાશી ગણાતા જામનગર શહેરના રામભક્તોમાં ઉત્સાહ જગાવવા માટે શનીવારે રાત્રે 'ભક્તિફેરી'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.


આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે, અને ભવ્ય રામમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે, ત્યારે આ વર્ષે રામનવમી ના તહેવારમાં જામનગરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે,અને શોભાયાત્રા રંગેચંગે યોજાવાની છે. જેના આયોજનને આખરી ઓપ આપવા માટે શનિવારે રાત્રે યોજાયેલી મિટિંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ ભક્તજનોની સંગાથે 'ભક્તિ ફેરી' યોજાઈ હતી.


પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજના હસ્તે ભગવા ધ્વજ ફરકાવીને ભક્તિ ફેરી નું પ્રસ્થાન કરાવાયું હતું.


આ શરૂ થયેલી ભક્તિ ફેરી મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની આગેવાની હેઠળ "જય જય શ્રી રામ" ના જયઘોષ સાથે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરે પહોંચી હતી. જ્યાં પ્રભુદર્શન કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલા અખંડ રામધુન ના પાઠ ની સાથે તમામ રામ ભક્તોએ જોડાઈને સંગીતની સાથે 'શ્રીરામ જય રામ જય જય રામ' ની ધૂન બોલાવી હતી.


ત્યાર પછી આ ભક્તિ ફેરી પુનઃ પંચેશ્વર ટાવર પરત ફરી હતી. જેમાં બન્ને આયોજક સંસ્થાના અગ્રણીઓ - કાર્યકરો ઉપરાંત શહેરના ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ મંડળો, યુવક મંડળોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, અને રામ નવમીના પાવનકારી પર્વ પહેલાં જ 'છોટી કાશી'માં રામ-મય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application