કલેકટર કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોલન-ઉપવાસ-ધરણાં પર બેસવા પ્રતિબંધ

  • September 01, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની કલેકટર કચેરીના પરિસરમાં મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી તથા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી આવેલી છે. કલેકટર કચેરી જામનગર ખાતે લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવામાં આવે છે. જેથી ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા કલેકટર કચેરીના પરિસરમાં મોટા અવાજે સુત્રોચ્ચાર કરવામાં આવે છે, જેના કારણે કલેકટર કચેરી તથા ઉકત કચેરીઓની કામગીરી ખોરવાય છે. તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે.
જેથી, કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરમાં આવેલી કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરીકોને અગવડતા ન થાય તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, તે માટે કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના ૧૦૦ મીટરના પરિસરમાં ઉપવાસ, આંદોલન કે ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું પ્રતિબંધાત્મક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી કલેકટર કચેરી તથા મહેસુલ સેવા સદનના પરિસરના ૧૦૦ મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ કે ધરણા પર બેસવા કે આવી કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ (૪૫માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક હુકમો આગામી તા.૩૦ સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application