પીએમ મોદીએ નવસારીમાં G સફળ અને G મૈત્રી યોજનાનું લોકાર્પણ કર્યું, કહ્યું- મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનો-દિકરીઓના આશીર્વાદ

  • March 08, 2025 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે સુરત અને સેલવાસા બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને મહિલા દિવસે 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે. વડાપ્રધાને કહ્યું કે, હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું, મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનો-દિકરીઓના આશીર્વાદ છે. આ આશીર્વાદ સતત વધી રહ્યા છે.


શરૂઆતમાં મેદીએ કહ્યું કે મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશિર્વાદ મળ્યા છે. વડાપ્રધાન મોદીએ G સફળ અને G મૈત્રી યોજનાનું લોકાર્પણ કર્યા બાદ અલગ-અલગ સંસ્થાઓની મહિલાઓને 4 લાખથી લઇ 75 લાખ સુધીની સહાય આપી હતી.


મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકને નિશાળમાં દાખલ કરે તો બાપનું નામ જ લખાતું પણ હવે માતાનું પણ નામ લખાય છે. 2014 પછી 3 કરોડ મહિલાઓ પોતાના ઘરની માલકિન છે. અમારી સરકારે ડેરીમાંથી દુધના પૈસા ડાયરેક બહેનોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. આ ઉપરાંત ઘણી યોજનાઓના પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવીને વચેટિયાઓને નવરા કરી નાંખ્યા, તમારી વાતો, આત્મવિશ્વાસ એ બતાવે છે કે, ભારતની નારીશક્તિએ દેશની જવાબદારી સંભાળી લીધી છે.


મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમની તમામ જવાબદારી મહિલાઓએ સંભાળી છે. ભારત મહિલાઓના નેતૃત્વનું મોટુ ઉદાહરણ છે. અહીંની મહિલાઓનો શ્રમ અને સામર્થથી દેશ વિકસીત થયો છે. ગુજરાતના ગામેગામથી લાખો મહિલાઓએ દુધના ઉત્પાદનને ક્રાંતિ બનાવી છે. અમારી સરકારે ત્રણ તલાકની સામે કડક કાયદો બનાવીને લાખો મુસ્લિમ બહેનોનું જીવન બરબાદ થતા બચાવ્યા છે. કામ કરતી મહિલાઓને સગર્ભાવસ્થામાં માત્ર 12 અઠવાડિયાની રજા મળતી હતી, અમારી સરકારે હવે એને વધારીને 26 અઠવાડિયા કરી દીધા છે.


મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સાજકીય મેદાન હોય કે રમતનું મેદાન, દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ છવાયેલી છે. 2014 બાદથી દેશના મહત્વના પદો પર મહિલાઓની ભાગેદારી ખૂબજ ઝડપથી વધી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની, 2019માં પહેલીવાર અમારી સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઈને આવી હતી. આજે ભારત દુનિયાનો ત્રીજો સ્ટાર્ટઅપ દેશ છે. ભારત અંતરિક્ષમાં અનંત ઉંચાઇઓએ છે. મને ગર્વ થાય છે કે દુનિયામાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કશ્મિરમાં મહિલાઓએ તમામ અધિકાર મળ્યા છે. પહેલાં ત્યાની મહિલાઓ સુવિધાઓથી વંચિત હતી. એમની સાથે અન્યાય થતો હતો પણ પહેલાંની સરકારને કંઇ ચિંતા જ નહોતી. અહિ મહિલાઓ શૌર્યાલયને શૌર્યાલય નથી કહેતી. એમ કહે છે કે આતો મોદીએ ઇજ્જત ઘર બનાવ્યું છે. અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે. આપણે અહીં શાસ્ત્રોમાં નારીને નારાયણી કહ્યું છે. નારીનું સન્માન એ દેશના વિકાસનું પહેલું પગથીયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application