દિગ્જામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી વડાપ્રધાનનો કાલે ભવ્ય રોડ-શો

  • February 23, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઉત્સાહ: ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને ફુલડે વધાવવા માટે તૈયારીઓને અપાતો આખરી ઓપ: વડાપ્રધાનના આખા રુટને રોશનીનો શણગાર: નિયત રુટ પર આઠ જેટલા સ્ટેજ બનાવીને સાંસ્કૃતિક કાર્યક્રમો આપવામાં આવશે: દરેક સ્ટેજની વચ્ચે રખાશે અંતર: માર્ગ પર ઉભેલા લોકો ફુલડે વધાવશે: લોખંડી સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે લોકોનું અભિવાદન ઝીલશે વડાપ્રધાન: ભાજપની આખી ટીમ લાગી કામે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બનવાના છે, રાત્રી રોકાણ કરવાના છે, જેના માટે રાજય કક્ષાથી લઇને સ્થાનિક કક્ષા સુધી આખેઆખુ તંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે, વડાપ્રધાનના સંભવીત રોડ-શો અંગે મળેલી વિગતો મુજબ વિમાની મથકે ઉતર્યા બાદ મોટર માર્ગે સર્કિટ હાઉસ પહોંચતા પૂર્વે વડાપ્રધાનનો દિગ્જામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી ભવ્ય રોડ-શો યોજાશે અને તેના માટે સ્થાનિક ભાજપની આખેઆખી ટીમ રોડ-શોને યાદગાર અને ભવ્ય બનાવવા માટે તૈયારીમાં લાગી ગઇ છે, લગભગ રાત્રે ૮ કલાક બાદ વડાપ્રધાનનો રોડ-શો નિયત રુટ પર થઇ શકે છે. પોલીસ દ્વારા પણ અભેદ્ય સુરક્ષાબંધી માટે આખેઆખો એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે, લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરવાસીઓને મળનારી વડાપ્રધાનની આ ઝલકને મહત્વની માનવામાં આવી રહી છે.
દ્વારકાના ઐતિહાસિક સિગ્નેચર (સુદર્શન) બ્રિજનું વડાપ્રધાનના હસ્તે રવિવારે ઉદઘાટન છે અને આ સાથે જ એક અદભુત દરિયાઇ માર્ગ ખુલ્લો મુકાશે, દ્વારકા ખાતે વડાપ્રધાનની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જો કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે રાત્રે સંભવત ૮ કલાક બાદ જામનગરના વિમાની મથકે આવી પહોંચશે અને ત્યાંથી અભેદ્ય સુરક્ષા-વ્યવસ્થા સાથે પીએમનો કાફલો મોટર માર્ગે અહિંના સર્કિટ હાઉસ ખાતે પહોંચવાનો છે.
આ દરમ્યાન રુટ પર દિગ્જામ સર્કલથી ઓશવાળ સેન્ટર સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાવાનો છે અને તેમાં રોડની લગભગ બંને તરફ હજારો લોકો ઉપસ્થિત રહીને વડાપ્રધાનને ફુલડે વધાવશે, રોડ-શોના નકકી થયેલા રુટ પર ચોકકસ અંતર સાથે આઠ જેટલા નાના સ્ટેજ બનાવવામાં આવશે જયાં સાંસ્કૃતિ કાર્યક્રમો અને જુદી-જુદી ઝાખીઓ રજૂ કરીને પીએમના રોડ-શોને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા સમગ્ર રુટ પર ચકલુ પણ ન ફરકે એવી સુરક્ષા-વ્યવસ્થાનો પ્રબંધ કરવામાં આવ્યો છે અને તેના માટે છેલ્લા ત્રણ દિવસથી જહેમત ઉઠાવવામાં આવી રહી છે, દરમ્યાનમાં વડાપ્રધાનના મોટર માર્ગના આખા રુટ પર રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, દિગ્જામ ઓવરબ્રિજની બંને તરફ લાઇટો લગાડવામાં આવી છે,  એ જ રીતે ઓશવાળ સેન્ટરથી લઇને સર્કિટ હાઉસ સુધીના આખા માર્ગ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અને ઠેર-ઠેર વડાપ્રધાનના આવકારતા મોટા હોર્ડીગ્સ તથા બેનરો લગાડવામાં આવ્યા છે. લાલબંગલા સર્કલે કેસરીયા ઝંડા લગાડવામાં આવ્યા છે અને ત્યાં જુદા-જુદા મહાનુભાવોના ફોટા સહિતના મોટા બેનરો લગાડવામાં આવ્યા છે.
સર્કિટ હાઉસ કે જયાં વડાપ્રધાન રાત્રી રોકાણ કરવાના છે ત્યાં લાલબંગલા સ્થિત તમામ સરકારી સંકુલો, મહાનગરપાલિકાની કચેરી, કોર્ટ પરીસર, પીજીવીસીએલની કચેરી, જિલ્લા પંચાયત અને હોમગાર્ડઝ કચેરી સહિતના સંકુલોમાં રોશનીનો એવો ઝગમગાટ કરાયો છે કે લોકોને દિવાળીની યાદ આવી જશે.
બંને તરફના વૃક્ષોમાં ગ્રીન કલરની હેલોઝન લાઇટો લગાવવામાં આવી છે જેનાથી અનન્ય નજારો જોવા મળશે અને આ રોશનીના અદભૂત શણગાર સાથે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલશે ત્યારે એ નજારો ખરેખર યાદગાર બની રહેશે. વિકેન્ડમાં થનાર આ ભવ્યાતિભવ્ય રોડ-શોને સફળ બનાવવા માટે વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા રાત ઉજાગરા કરવામાં આવી રહ્યા છે તો ભાજપની આખી ટીમ પણ કામે લાગી છે.
બંને તરફ ઉભેલા લોકો વડાપ્રધાન માટે ફુલોના પાથરણા કરશે, વ્યવસ્થા સંભાળવાની જવાબદારીઓ અગાઉથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગેવાનોને સોંપી દેવામાં આવી છે, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા અને એમના મહામંત્રીઓની ટીમ તથા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને જિલ્લાના મહામંત્રીઓ સહિતની ટીમ, ભાજપના નગરસેવકો, આગેવાનો, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ દ્વારા રોડ-શોને ભવ્યાતિભવ્ય બનાવવા સંકલ્પ કરાયો છે અને શનિવારની રાત યાદગાર બની રહેવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application