રાજકોટમાં 28 યુગલ પ્રભુતામાં પગલા પાડે એ પહેલા સમૂહલગ્નના આયોજકો ફરાર, જોવા જેવી થઈ, દોઢ કરોડનું કૌભાંડ કર્યાનો આક્ષેપ, દુલ્હનો રડી પડી

  • February 22, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ફરી સમૂહલગ્નના આયોજનમાં આયોજકો ફરાર થઈ જતા વર પક્ષ અને કન્યા પક્ષના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 28 યુગલ પ્રભુતામાં પગલા પાડે એ પહેલા જ આયોજકો ફરાર થઈ જતા વર પક્ષ અને કન્ય પક્ષના લોકોએ હોબાળો મચાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ છે અને મામલો થાળે પાડવા પ્રયાસ કરી રહી છે. 


28 વરરાજા જાન લઈને પણ પહોંચી ગયા હતા
પ્રાપ્ત વિગત મુજબ, માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એક હોટલની સામ રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલના લગ્ન થવાના હતા. 28 વરરાજા જાન લઈને પણ પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ આયોજકો ફરાર થઈ જતા લગ્ન અટકી પડ્યા છે. 


આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરો
વર પક્ષ અને કન્યા પક્ષના લોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ક્યારના હેરાન થઈ રહ્યા છે. કલેક્ટર અને સીપીને જવાબ આપવા જ પડશે. આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કોઈ પાસેથી 30 હજાર તો કોઈ પાસેથી 40 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા છે. 



મેયર દોડી ગયા, તેમની ગાડીને ઘેરી
ઘટનાની જાણ થતા જ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા પણ દોડી ગયા છે. જોકે, મેયર લોકોની રજૂઆત સાંભળ્યા વગર જ જતા જોવા મળ્યા હતા. આથી લોકોએ તેની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ આયોજકો હાય હાય અને કાર્યકરો હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. જાનૈયાઓએ જણાવ્યું હતું કે, અમે અહીં વહેલી સવારના પાંચ વાગ્યાના આવી ગયા છીએ. અમને કહેવામાં આવ્યું હતું કે, તમે સવારે પાંચ વાગ્યે આવી જાવ. તમને બધાને બપોરે એક વાગ્યે છૂટા કરી દઈશું. પણ સવારે 7 વાગ્યે તેઓ ફરાર થઈ ગયા છે.


દરેક વરરાજાના 50 હજાર અને દરેક કન્યાદીઠ 50 હજાર રૂપિયા લીધા
લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, આયોજકોએ દરેક વરરાજાના 50 હજાર અને દરેક કન્યાદીઠ 50 હજાર રૂપિયા લીધા છે. આયોજકોમાં ચંદ્રેશભાઈ છત્રોલા, દિલીપભાઈ ગોહેલ, દિપકભાઈ છે. દોઢેક કરોડનું કૌભાંડ કર્યું છે. 


તો 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે
એક દુલ્હને જણાવ્યું હતું કે, સદ્ધર હોય એ કોઈ દિવસ સમૂહલગ્ન કરતા નથી. એટલી તો આ આયોજકોને દયા આવવી જોઈને. દીકરીઓની હાય લાગવાની છે. એ લોકોએ જે પાનેતર આપ્યું એ જ પાનેતર પહેરીને આવ્યા છીએ. તેઓ કહેતા કે અમે આપેલું પાનેતર નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application