કૂતરા, ઢોર, ગંદકીના મુદ્દે જામ્યુકોની બજેટની બોર્ડ બેઠક બહાર વિપક્ષનો વિરોધ

  • February 19, 2024 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારણ કરીને કૂતરાના ત્રાસ, રખડતા ઢોર, ટ્રાફીક સમસ્યા, ત્રીજા સ્મશાન, ગંદકીના મુદ્દે વિપક્ષે દર્શાવ્યો આક્રોશ: નવાગામ ઘેડના પાણીની સમસ્યા અંગે વિરોધ

આજે જામનગર મહાનગરપાલિકાની બજેટ માટેની જનરલ બોર્ડની બેઠક મળે એ પૂર્વે બેઠક સ્થળની બહાર એક તરફ વિપક્ષ દ્વારા બેનરો ધારણ કરીને કૂતરાના ત્રાસ, ઢોરની સમસ્યા, ટ્રાફીક અને ગંદકીના મુદ્દે દેખાવો કર્યા હતા, તો બીજી તરફ પાણીની સમસ્યાથી ત્રસ્ત નવાગામ ઘેડના લોકો પણ ધરણાં પર બેઠા હતા, આમ બેઠકની બહાર વિપક્ષે આકરા તેવર દેખાડ્યા હતા, આટલું જ નહીં બેનરોને બજેટ બેઠક માટે અંદર લઇ જવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ માટે આપવામાં આવેલા બજેટની દરખાસ્તને મંજુર કરવા માટે આજે ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે જામ્યુકોની બજેટ બેઠક મળી હતી, જેમાં સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા દ્વારા કમિશ્નર દ્વારા આપવામાં આવેલી બજેટની દરખાસ્ત રજૂ કરી હતી.
આ પૂર્વે ચેમ્બર હોલની બહાર વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી, નગરસેવિકાઓ રચના નંદાણીયા, જૈનબ ખફી વિગેરેએ બેનરો ધારણ કર્યા હતા, જેમાં એવા લખાણ હતા કે, જામનગર મહાપાલિકા સંચાલિત શહેરને ત્રીજું સ્મશાન ક્યારે મળશે ?, કરોડોના આકડા પછી પણ શહેરની ગંદકીથી પ્રજાને છૂટકારો ક્યારે ?, જામનગરની જનતાનો હડાકાયા કૂતરાઓથી છૂટકારો ક્યારે ?, ટ્રાફીક સમસ્યાથી બેહાલ નગરજનોને પાર્કીંગ ક્યારે મળશે ?, આવારા સાંઢ અને હરાયા ઢોરથી જનતા ત્રાહીમામ હવે તો કંઇક કરો સરકાર.
ઉપરોક્ત તમામ બેનરો ધારણ કરીને બજેટ બેઠક બહાર વિપક્ષે વિરોધ નોંધાવ્યોહ તો, આટલું જ નહીં આ તમામ બેનરો ચેમ્બર હોલની અંદર લઇ જવામાં આવ્યા હતા અને વિપક્ષની બેઠકના સ્થળે ખુરશીઓ પર બેનરો ગોઠવીને સત્તાધારીઓને નગરની સમસ્યાથી વાકેફ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નવાગામ ઘેડ વિસ્તારના કેટલાક લોકો પાણીની સમસ્યા લઇને પણ બોર્ડ બેઠકની બહાર પહોંચ્યા હતા, નગરસેવિકા રચના નંદાણીયાએ એમની આગેવાની લીધી હતી અને એમનો પ્રશ્ર્ન એ હતો કે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર સુધી નળ પહોંચી ગયાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવમાં કોર્પોરેશનની હદમાં જ વસતા ઘણા બધા પરિવારો પાણીની સમસ્યાથી બેહાલ છે.
એમના ઘરે નળના કનેકશન નહીં હોવાથી નાછૂટકે ટેન્કર મારફત અપાતા પાણી પર સંખ્યાબંધ પરિવારોએ નિર્ભર રહેવું પડે છે અને એવો પણ આક્ષેપ કરાયો છે કે આવા સ્થળોએ ક્યારેય સમયસર પાણીના ટાંકા પહોંચતા જ નથી.
બજેટ બેઠક માટે હાજરી આપવા જઇ રહેલા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા સાથે રચના નંદાણીયાએ ચેમ્બર હોલની બહાર ધરણાં પર બેસીને આવેલા લોકોની સમસ્યા સંબંધે વાતચીત પણ કરી હતી અને લોકોની રજૂઆતો પર ઘ્યાન આપવા ટકોર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application