પાંચ રાજ્યોના 22 સ્થળોએ જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઠેકાણાઓ પર એનઆઈએની ટીમો ત્રાટકી

  • October 05, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ ) એ આતંકવાદી ફન્ડિંગ અને ષડયંત્રના એક મોટા કેસમાં દેશભરમાં દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી આરસી-13/24/એનઆઈએ /ડીએલઆઈ કેસ હેઠળ કરવામાં આવી રહી છે, જેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું દેશવ્યાપી નેટવર્ક ટાર્ગેટ કરવામાં આવ્યું છે.જેના સંદર્ભમાં 5 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
એનઆઈએની ટીમોએ જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હીમાં પહોંચી છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએએ સમગ્ર ભારતમાં જૈશ નેટવર્ક પર આટલી વ્યાપક કાર્યવાહી કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે, આતંકવાદી સંગઠનનું નેટવર્ક જમ્મુ-કાશ્મીરની બહાર પણ ફેલાયેલું છે.
એનઆઈએએ દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં મુસ્તફાબાદમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં એનઆઈએની સાથે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને સ્થાનિક પોલીસ પણ સામેલ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. અધિકારીઓએ કેટલાક લોકોને નોટિસ પણ પાઠવી છે અને 1 થી 2 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.એનઆઈએની ટીમો સ્થાનિક પોલીસની મદદથી જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સાંગ્રી વિસ્તારમાં પણ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ એનઆઈએએ આતંકવાદ સંબંધિત મામલાઓની તપાસ તેજ કરી દીધી છે અને આગામી દિવસોમાં આવી વધુ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે.
આ સિવાય મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ આતંકવાદી ફન્ડિંગ અને ષડયંત્રના મામલાઓ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એનઆઈએ ની ટીમો આસામમાં પણ સક્રિય છે, જ્યાં આતંકવાદી સંગઠનના સંભવિત ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એનઆઈએએ 2024માં આતંકવાદી ફન્ડિંગ સાથે જોડાયેલા એક મોટા કેસમાં એફઆઈઆર નોંધી હતી. આ મામલામાં આરસી-13/24/એનઆઈએ /ડીએલઆઈ કેસમાં તપાસ ચાલી રહી છે. આ એફઆઈઆર આતંકવાદી સંગઠનોના નેટવર્ક અને દેશભરમાં તેમના ષડયંત્રો દ્વારા કરવામાં આવી રહેલા ફન્ડિંગ સાથે સંબંધિત છે. એનઆઈએની આ તાજેતરની કાર્યવાહીને આતંકવાદ સામેની લડાઈમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ હવે આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ દરોડા પડવાની શક્યતા છે. એનઆઈએ અધિકારીઓનું કહેવું છે કે તેઓ દેશભરમાં આતંકવાદીઓના નેટવર્કને નષ્ટ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application