ધરોહર લોકમેળામાં NDRF અને SDRF દ્વારા લોકોને આપત્તિ નિવારણ માટે અપાય છે માર્ગદર્શન

  • August 25, 2024 09:26 PM 

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો છે. આ મેળાને માણવા આવતા લોકો ચકડોળમાં મનોરંજન, નાની-મોટી ખરીદી કે ખાણીપીણીના સ્ટોલમાં અવનવી વાનગીઓના આનંદ માણતા હોય છે. ત્યારે આ મોજમજા સાથે લોકો સરકારની વિવિધ કચેરીઓની પ્રવૃત્તિઓથી વાકેફ થઈ શકે, તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ તેમજ પ્રદર્શન ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.નો ડોમ પણ બનાવાયો છે.


છઠ્ઠી વાહિની રાષ્ટ્રીય આપદા મોચક બલ, બરોડા એન.ડી.આર.એફ.ની ટીમ તથા ઘંટેશ્વર એસ.આર.પી. ગ્રુપ એસ.ડી.આર.એફ. દ્વારા સંયુક્ત રીતે મેળામાં આવતા લોકોને આગ, પૂર કે ભૂકંપ જેવી સ્થિતિમાં શું તકેદારી રાખવી? આપત્તિ સમયે સ્વબચાવ માટે શું કરવું? તેમજ આપદા નિવારણ ટીમ દ્વારા કરાતી કામગીરી અંગે લોકોને વાકેફ કરવામાં આવે છે. આ ઉપરાંત, મુશ્કેલીના સમયે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો પૈકી રાહત બચાવ બોટ, હાર્ટ એટેકના સમયે દર્દીને અપાતું સી.પી.આર.નું ડેમો દ્વારા પ્રદર્શન, પૂરમાં ૩૬૦ કિલોગ્રામની ક્ષમતા ધરાવતું લાઈફ બોય, ૧૨૦ કિલોગ્રામની ક્ષમતા ધરાવતો લાઈફ જેકેટ, દોરડા, કટર વગેરેનો ઉપયોગ જવાનો દ્વારા કઈ રીતે કરવામાં આવતું હોય છે, તે અંગે ટીમના સભ્યો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવે છે.


આ ઉપરાંત, આપત્તિના સમયે ઘરમાં રહેલી વિવિધ ચીજોનો ઉપયોગ કરીને અથવા પ્લાસ્ટિકની બોટલો, થર્મોકોલ, નાળિયેર કે હાંડા, તપેલા જેવી ઘરવખરીની ચીજોથી બનતા મટકા ક્રાફ્ટથી પૂર જેવી સ્થિતિમાંથી જીવન બચાવી શકાય છે. તેમજ વાવાઝોડા દરમિયાન રોડ-રસ્તા પર વૃક્ષો ધરાશાઈ થાય ત્યારે કટરના માધ્યમથી કેવી રીતે ઝડપથી રસ્તા ચોખ્ખા કરવા, દોરડાનો ઉપયોગ, પૂરના સમયે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કઈ રીતે સમજાવી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા, હાર્ટએટેકના સમયે દર્દીને કઈ રીતે સી.પી.આર. આપવું, આગની ઘટના બને ત્યારે શું તકેદારી રાખવી, ભૂકંપ જેવી આપત્તિ સમયે શું તકેદારી રાખવી વગેરે અંગે જાણકારી આપવામાં આવે છે.


રાષ્ટ્રીય આપદા મોચક બલના ઇન્સ્પેક્ટરશ્રી બીપીનકુમારે જણાવ્યું હતું કે, ભૂકંપ, પૂર, આગ કે કોઈપણ ડિઝાસ્ટરના સમયે આપત્તિ નિવારણ અર્થે એન.ડી.આર.એફ. ટીમ જીવબચાવ માટે સ્થળ પર પહોંચતી હોય છે. વધુમાં, લોકજાગૃતિ અર્થે પણ અમારી ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, આપત્તિના સમયે લોકો ત્વરિત પોતાનું તથા પોતાના પરિવારનો બચાવ કરી શકે, તે અંગે ડેમો થકી માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ આપત્તિના સમયે સ્થળ પર પહોંચી બચાવ માટે સતત એક્ટિવ મોડમાં રહેતી રાહત બચાવ ટુકડીઓ "જીવન રક્ષા સે ભી આગે.." સૂત્રને સાર્થક કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application