બરડા ડુંગરમાં જંગલ સફારી શરુ કરાશે

  • February 17, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ વિધાનસભામાં કરેલી મહત્વની જાહેરાત: હાલારના નજરાણામાં વધુ એક ઉમેરો થશે: પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવશે

જામનગર-દેવભૂમિ દ્વારકા હાલારના  આ બન્ને જિલ્લામાં દેશ અને વિશ્ર્વના પ્રવાસીઓને આકર્ષિક કરતાં અનેક ઐતિહાસિક અને જોવાલાયક સ્થળો છે ત્યારે  અહીંના બરડા ડુંગર વિસ્તારમાં જંગલ સફારી શરુ કરવાની મહત્વની જાહેરાત ગઈકાલે વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા દ્વારા કરવામાં આવી છે. આ પ્રોજેકટ સાકાર થઈ ગયાં બાદ દેશ અને વિદેશના ટુરીસ્ટો અહીં આવશે અને વધુ એક જોવાલાયક સ્થળ નિર્માણ પામશે.
ચાર ધામ પૈકીનું એક દ્વારકાધીશ હાલારમાં છે, બેટ દ્વારકા છે, હવે તો સિગ્નેચર બ્રીજ પણ ટૂંક સમયમાં ખૂલ્લો મૂકાશે, મરીન નેશનલ પાર્ક છે, પીરોટન-નરારા સહિતના અલભ્ય દરિયાઈ જીવ સૃષ્ટિ દેખાડતા ટાપુઓ છે, શિવરાજપુર બીચ છે, અધૂરામાં પુરુ ઍશિયાની સૌથી મોટી રિલાયન્સ રિફાઈનરી, નયારાની રિફાઈનરી, એસ્સારનો પાવર પ્રોજેકટ જેવા મૅગા ઔદ્યોગિક એકમો છે અને આ ઉપરાંત પણ જામનગર-દ્વારકામાં ઘણાં બધાં સ્થળો જોવા લાયક છે જેમાં ખીજડિયા પક્ષી અભયારણ્યનો પણ સમાવેશ કરી શકાય.
ટૂરીઝમ ક્ષેત્રે આ તમામ સ્થળો હાલારને હાઈજમ્પ અપાવી શકે છે, અહીં દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું હતું પરંતું અંતરંગ વર્તુળો તરફથી મળેલાં નિર્દેશ મુજબ આ મૅગા પ્રોજેકટ કદાચ મુલ્તવી રાખી દેવાયો છે એવા સંજોગો વચ્ચે દેવભૂમિ દ્વારકામાં આવતાં બરડા ડુંગર વિસ્તારમાં જંગલ સફારી શરુ કરવાની વન મંત્રી મુળૂભાઈ બેરા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અત્યંત મહત્વની છે અને પ્રવાસન ઉદ્યોગને આ યોજના વેગવાન બનાવી શકે છે.
.. સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે એટલું જ નહીં બરડા ડુંગરમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઑપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું પણ આયોજન હોવાનું પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે.
પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, બરડો ડુંગર સર્કીટમાં પોરબંદર જિલ્લાના જાંબુવનની ગુફા, મોકર સાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફુલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ માટે ટેન્ડરની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સીદસર સ્થિત ઉમિયા માતાજી મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે. બરડા અભયારણ્યમાં જંગલ દર્શનની સફારી શરુ કરવાની સાથે બરડા જંગલના તીર્થસ્થળોનો વિકાસ કરી રુા.પ૦ કરોડના ખર્ચે બરડા ટુરિસ્ટ સર્કીટ શરુ કરવામાં આવશે.
બરડા ડુંગરમાં અનેક રાની પશુઓનું અસ્તિત્વ છે, ખાસ કરીને દીપડા મોટી સંખ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ બે સિંહણ પણ અહીં આંટો મારી ગઈ છે અને કદાચ આવનારા સમયમાં સિંહ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ડુંગર વિસ્તારમાં મુકામ કરે એવા સંજોગો છે ત્યારે જંગલ સફારી બનવાથી સમગ્ર ક્ષેત્રનો વિકાસ થશે, રોડ રસ્તા બનશે, હોટલ-રિસોર્ટ બનશે, રેસ્ટોરાં ઉભાં થશે. જામનગરની સાથે-સાથે સૌરાષ્ટ્રભરના સહેલાણીઓને અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં ફરતાં શોખીનો માટે આ સ્થળ ફેવરિટ બની રહેશે, જરુરી છે કે વહેલી તકે આ યોજના સાકાર કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application