રૂપાલા સામેની આચારસંહિતા ભંગની તપાસ પૂરી: સાંજે ચૂંટણી પંચને કલેકટર રિપોર્ટ મોકલશે

  • April 02, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્ષત્રિય સમાજ સંદર્ભે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થયા પછી ચૂંટણી પંચે આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટરને તપાસ સોંપી હતી. નાયબ મ્યુનિ. કમિશનર અને ચૂંટણી આચારસંહિતા અમલવારીના ઓફિસર સ્વપ્નીલ ખરેને કલેકટરે આ તપાસ સોપી હતી. રાજકોટ ઝોન–૨ પ્રાંત અધિકારી નિશા ચૌધરીના વિસ્તારમાં આ ઘટના બની હોવાથી સ્વપ્નીલ ખેરએ તે બાબતે નિશા ચૌધરીને તપાસ સોપી હતી. આ તપાસ પૂરી થઈ ગઈ છે અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીને રિપોર્ટ સોપી દેવાયો છે.

આ સંદર્ભે નિશા ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મેં રિપોર્ટ ગઈકાલે કલેકટરને સોપી દીધો છે. રિપોર્ટમાં આચારસંહિતા ભગં થાય છે કે નહીં? તેવા સવાલના જવાબમાં પ્રાંત અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતે કશું કહી શકુ તેમ નથી.આ ઉપરાંત કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કાર્યકરોની મિટિંગ યોજવામાં આવી હતી તે બાબતે પણ કોંગ્રેસે આચાર સહિતા અંગની ફરિયાદ કરી છે. આ બાબતે પ્રાંત અધિકારી નિશા ચૌધરીએ તપાસ પૂરી કરી છે અને કલેકટરને પોતાનો રિપોર્ટ સોપી દીધો છે.

પ્રાંત અધિકારીના આ બન્ને મહત્વના રિપોર્ટ ગઈકાલે સાંજે કલેકટરના ટેબલ પર આવી ગયા છે અને આજે ચૂંટણી પંચમાં મોકલી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અધિક ચૂંટણી અધિકારી અને તેમની ટીમ દ્રારા ટોલ ફ્રી નંબર, વોટર હેલ્પ લાઈન  ૧૯૫૦ તેમજ સી.વીજીલ એપ પર આવેલ ઓનલાઇન મળીને ૫૦ જેટલી ફરિયાદ મળી હતી, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે.
એ.સી. વાઈઝ વિધાનસભા રાજકોટ પૂર્વ (૬૮) વિસ્તારમાં ૪, રાજકોટ પશ્ચિમ (૬૯) વિધાનસભા વિસ્તારની ૧૩, દક્ષીણ વિધાનસભા વિસ્તાર (૭૦) ની ૮, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર (૭૧) માં ૧૧, જસદણ વિધાનસભા વિસ્તાર (૭૨) માં ૩, ગોંડલ વિધાનસભા વિસ્તાર (૭૩) માં ૭, જેતપુર વિધાનસભા વિસ્તાર હેઠળ (૭૪) માં ૨ , ધોરાજી વિધાનસભા મત વિસ્તાર (૭૫) માં ૧ તેમજ અન્ય એક મળીને કુલ ૫૦ જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.


ચૂંટણી પંચે આ વખતે પ્રથમવાર સી–વિજીલ નામની નવી એપ લોન્ચ કરી છે. ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ કર્યા પછી વધુમાં વધુ ૧૦૦ કલાકમાં તેનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ, રૂપાલા સામેની આચારસંહિતા ભંગની ફરિયાદમાં વીડિયો જોવા, નિવેદનો નોંધવા સહિતની બાબતો હોવાથી અને કેન્દ્રીય મંત્રી સામેની તપાસ હોવાથી સ્થાનિક તંત્રએ કોઈ ચાન્સ લીધો નથી. સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આજે સાંજ સુધીમાં ચૂંટણી પંચને મોકલવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી, તપાસનીશ અધિકારી નિશા ચૌધરી, સ્વપ્નીલ ખરે સહિતના અધિકારીઓ રિપોર્ટ પોઝિટીવ છે કે નેગેટિવ તે બાબતે કશું કહેવા તૈયાર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application