જામજોધપુર નજીક આરએફઓની ફરજમાં રુકાવટ

  • March 13, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપ અને પથ્થરથી હુમલો કરીને ધમકી દીધી : છ શખ્સો સામે પોલીસ ફરીયાદ : ભારે ચકચાર

જામજોધપુર પંથકના ધુનડા બીટ અને પરડવા રેવન્યુ વિસ્તારની બોર્ડર નજીક દુધીયા વીડીના ગેઇટથી આશરે ૧૫૦ મીટર દુર આરએફઓ અને તેની સાથેના વ્યકિતઓની કાયદેસરની સરકારી ફરજમાં અડચણ ઉભી કરી પાઇપ અને પથ્થર વડે હુમલો કરીને ધમકી દીધાની છ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી છે બનાવના પગલે પોલીસ દ્વારા તપાસ આગળ વધારી છે.
માળીયા હાટીના તાલુકાના વીરડી ગામના વતની અને હાલ કુતીયાણા થેપડા રોડ ખાતે રહેતા ફોરેસ્ટમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ કાળુસિંહ મોરી (ઉ.વ.૩૫) તથા અન્ય ગઇકાલે પોતાની કાયદેસરની ફરજમાં હતા ત્યારે જામજોધપુરના પરડવા રેવન્યુ વિસ્તારમાં દુધીયા વીડીના ગેઇટ નજીક જેસીબી અને ટ્રેકટરના ડ્રાઇવરો કુલ ૪ તથા પાછળથી આવેલા બે વ્યકિતઓએ પ્રવિણસિંહની કાયદેસરની સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.
તમામે આરએફઓને જેમ તેમ અપશબ્દો કહી પાછળથી આવેલા બે શખ્સ પૈકી એકએ પ્રવિણસિંહને પાઇપ વડે અને સાહેદોને પાઇપ અને પથ્થરોથી મુંઢ ઇજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ જાહેરનામાનો ભંગ કર્યો હતો.દરમ્યાન આરએફઓ પ્રવિણસિંહ મોરી દ્વારા બનાવ અંગે જામજોધપુર પોલીસમાં માલદે તથા તેની સાથેના પાંચ ઇસમો વિરુઘ્ધ આઇપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવતા પીઆઇ વાય.જે. વાઘેલા તપાસ ચલાવી રહયા છે.
***
કાલાવડના નવાગામમાં ખેડુત યુવાનને પાવડો ફટકાર્યો: પાણીની લાઇન રીપેર કરાવવાનું કહેતા બે શખ્સ વિફર્યા

કાલાવડના નવાગામમાં ફરીયાદીના ખેતરમાથી આરોપીઓને વાડી જવાનો રસ્તો નીકળતો હોય આ રસ્તા પર પાણીની લાઇન નાખી હતી જે ટ્રેકટરો ચાલવાથી તુટી જતા યુવાને લાઇન રીપેર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે પાવડા વડે યુવાનને માર મારી ઇજા પહોચાડી હતી. જે અંગે બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા ખેતીકામ કરતા મનસુખ ટપુભાઇ નારીયા (ઉ.વ.૪૨) નામના યુવાન ગત તા. ૧૧ સાંજના સુમારે મોજ ડેમ પાસે પોતાની વાડીએ પાણી વાળવા માટે ગયા હતા ત્યારે આરોપીઓનો વાડીમાં જવાનો રસ્તો મનસુખભાઇના ખેતરમાંથી નીકળતો હોય જે રસ્તામાં ફરીયાદીની પાણીની લાઇન નાખેલ હોય જે લાઇન આરોપીઓના ટ્રેકટરો ચાલવાથી તુટી ગઇ હતી.
આથી પાણીની લાઇન રીપેર કરવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી આરોપી મુળજીએ પાવડા વડે મનસુખ પર હુમલો કરીને આંખ ઉપર કપાળના ભાગે ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડતા જી.જી. હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
સારવારમાં રહેલા મનસુખભાઇ દ્વારા બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ગઇકાલે નવાગામમાં રહેતા મુળજી સામજી નારીયા અને ભગવાનજી સામજી નારીયા નામના બે શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application