જામજોધપુરમાં યુવાનને ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી

  • March 22, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા. ૧૦ હજારનું દર અઠવાડીયે ૧૦૦૦ તોતીંગ વ્યાજની વસુલાત : ધ્રાફાના શખ્સ સહિત ચાર સામે ફરીયાદ

જામજોધપુરમાં રહેતા શ્રમીક યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા હથીયારો સાથે ઘસી ગયેલા શખ્સોએ જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી દેતા ધ્રાફાના શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, થોડો સમય શાંત રહયા બાદ ફરી વ્યાજખોરોની દાદાગીરીનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે.
જામજોધપુરના શાંતીનગરમાં રહેતા મજુરી કામ કરતા વિવેક નારણભાઇ વિંઝુડા (ઉ.વ.૩૧) નામના યુવાનને આરોપી લાલુભાએ રુા. ૧૦ હજાર વ્યાજે આપ્યા હતા જેનું દર અઠવાડીયે રુા. ૧૦૦૦ જેટલુ મોટુ વ્યાજ લેવામાં આવતુ હતું, ફરીયાદી પાસે સગવડ ન હોય તેમ છતા આરોપી અને તેની સાથેના શખ્સોએ એક સંપક કરીને પઠાણી ઉઘરાણી કરી હતી.
તેમજ તલવાર, ધોકા, પાઇપ જેવા હથીયારો ધારણ કરી વિવેકભાઇને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી, ઝાપટો મારી, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, ગત જાન્યુઆરી ૨૦૨૪થી ૧૪-૩-૨૪ના સમયગાળા દરમ્યાન સિઘ્ધેશ્ર્વર એન્ટરપ્રાઇઝ તથા શાંતીનગર ખાતે બનાવ બન્યાનું જણાવાયું છે.
આ અંગે વિવેકભાઇ વિંઝુડા દ્વારા ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ધ્રાફા ગામના પાર્થરાજ ઉર્ફે લાલુભા કાતુંભા જાડેજા તથા તેની સાથેના ૩ અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ અને ગુજરાત મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ની કલમ અનુસાર ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ વાય.જે. વાઘેલા તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application