ગોવાણામાં બોરવેલને ખુલ્લો રાખી બેદરકારી દાખવનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો

  • February 08, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળક રાજની તબીયત ક્રિટીકલ, વેન્ટીલેટર પર રખાયો : તબીબોનું સતત મોનીટરીંગ

લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં રણમલભાઇ કરંગીયાની ખેતીની જમીનમાં ઉંડા બોરમાં રમતા રમતા બે વર્ષનો બાળક પડી જતા ભારે દોડધામ મચી હતી, દરમ્યાન રેસ્કયુ ઓપરેશન કરીને ૯ કલાકની જહેમત બાદ બાળકને જીવંત હાલતમાં બહાર કાઢીને જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, જયાં બાળકની સધન સારવાર કરવામાં આવી રહી છે. માસુમની હાલત હાલ ક્રિટીકલ હોવાનું તબીબે જણાવ્યું છે, દરમ્યાનમાં બોરને ખુલ્લો રાખીને બેદરકારી દાખવનાર વાડી માલીક સામે વિધિવત પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુળ મહારાષ્ટ્રના જલગાવ જીલ્લાના અમનેરના વતની અને લાલપુર તાલુકાના ગોવાણા ગામ વાડી વિસ્તારમાં રહેતા ખેતમજુરી કરતા નિલેશ રમેશભાઇ વસાવાનો બે વર્ષનો પુત્ર રાજ તા. ૬ સાંજના ૬ વાગ્યાની આસપાસ રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી જતા અને આ અંગેની વિગતો વહેતી થતા જુદી જુદી ટુકડીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી, ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા, ફાયર બ્રિગેડના ચુનંદા જવાનો દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
૯ કલાકની ભારે જહેમત બાદ બોરવેલમાં ફસાયેલા બાળક રાજને જીવંત હાલતમાં બહાર કાઢી ૧૦૮ મારફતે પ્રાથમિક સારવાર આપીને તાકીદે વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં બાળકને ઓકસીજન આપવા સહિતની સધન સારવાર કરવામાં આવી હતી તેમજ અન્ય ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરી હતી, દરમ્યાનમાં ગઇ સાંજે બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, બાળકની સધન સારવાર ચાલી રહી છે.
બીજી બાજુ બાળકના પિતા નિલેશભાઇ વસાવાએ ગત મોડી રાત્રીના લાલપુર પોલીસ સ્ટેશનમાં ગોવાણા ગામના રણમલ મેપા કરંગીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૩૬, ૩૩૭ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું છે ખેતમજુર ફરીયાદી નિલેશભાઇ જે વાડીમાં મજુરી કામ કરતા હોય ત્યાં બાજુમાં આવેલ ખેતીની જમીનના માલિક આરોપી રણમલ મેપા કરંગીયાએ થોડા દિવસ પહેલા પોતાની ખેતીની જમીનમાં પાણીનો બોર કરાવ્યો હતો આ બોરમાં કોઇપણ પડી જવાથી કોઇની જીંદગી જોખમમાં મુકાય તેવું જાણવા છતા બેદરકારી પુર્વક પાણીના બોરને ખુલ્લો રાખી મુકતા જે પાણીના બોરમાં ફરીયાદીનો બે વર્ષનો પુત્ર રાજ રમતા રમતા પડી ગયો હતો આથી આરોપીએ ગુનો કર્યા બાબતની ફરીયાદ દાખલ થતા લાલપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના તમાચણ અને કલ્યાણપુરના રાણ ગામમાં થોડા સમય પહેલા જ ખુલ્લા બોરમાં બે માસુમો પડી ગયા હતા અગાઉ પણ આ પ્રકારના બનાવો બહાર આવી ચુકયા છે, દર વખતે બોરવેલ કરનારાઓ ખુલ્લા મુકી દેતા હોય છે જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે જો કે તંત્ર દ્વારા અસરકારક કડક પગલા નહીં લેવાતા બોરવેલમાં બાળકો ફસાવાના કિસ્સા સામે આવતા રહે છે આથી કડક પગલાની માંગણીઓ ઉઠવા પામી હતી, દરમ્યાન ગોવાણાના બનાવમાં વાડી માલિક સામે આખરે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
***
બોરવેલમાં પડી ગયેલા બાળકની તબિયત ક્રિટીકલ : ડો. ભદ્રેશ વ્યાસ
ગોવાણામાં બે દિવસ પહેલા બોરવેલમાં પડી ગયેલા રાજ નામના બાળકને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે ત્યારે ગઇકાલથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે અને ઓકસીજન સતત દેવામાં આવે છે, જી.જી. હોસ્પીટલના બાળ વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકની તબીયત ક્રિટીકલ ગણાવી શકાય તેમના એક પછી એક રીપોર્ટ કરવામાં આવે છે એટલુ જ નહીં નિષ્ણાંત ડોકટરોની ટીમ સતત ખડે પગે છે, અત્યારે તો વેન્ટીલેટર પર બાળક હોય હજુ પણ અનેક રીપોર્ટ કરાવવાના બાકી છે, ડોકટરો સતત ૨૪ કલાક તેની તબીયત અંગે મોનીટરીંગ કરી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application