જામનગર અને લાલપુર તાલુકાના ૧૭ ગામોમાં ૭૫ વીજ પોલ પડી જવાના કારણે અંધાર પટ છવાયો

  • June 12, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર દ્વારા ૧૨ ગામોમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવાયો: હજુ પાંચ ગામોમાં સમારકામ ચાલુ

જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાની અસર અત્યારથી જ જોવા મળી રહી છે અને ખાસ કરીને જામનગર તાલુકા તેમજ લાલપુર પંથકમાં ગઈકાલે તોફાની વંટોળિયાની અસર જોવા મળી હતી અને ૧૭ ગામોમાં કુલ ૭૫ જેટલા વિજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને યુદ્ધના ધોરણે મરામતની કામગીરીને લઈને ૧૨ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દેવાયો છે, જ્યારે હજુ પાંચ ગામોમાં વીજ લાઈનની સમાર કામની કાર્યવાહી ચાલી રહી છે.
 જામનગર તાલુકા અને લાલપુર તાલુકાના શાપર, કાનાશિકારી, ડેરા શિકારી, સેતાલુસ, નવાગામ, બાલંભડી, ગાડુકા, દોઢીયા, જીવાપર સહિતના સત્તર ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવનના કારણે અંદાજે ૭૫ જેટલા વિજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા, અને ૧૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વીજતંત્રની અલગ અલગ ટુકડીઓના ૪૦ થી વધુ કર્મચારીઓ વીજ લાઈન સમાર કામ માટે રાત દિવસના કાર્યમાં જોડાયા હતાં અને સાંજ સુધીમાં ૧૨ જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો અને વીજપોલ તથા વિજ વાયરો ફરીથી ઊભા કરી દેવાયા છે.
 હજુ પણ બાલંભડી ગાડુકા દોઢીયા અને જીવાપર સહિત પાંચ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે નવા વીજપોલ ઊભા કરીને વિજ લાઇન જોડવાની કામગીરી ચાલી રહી છે અને આજે પણ ૪૦ થી વધુ કર્મચારીઓ દિવસ રાત એક કરીને સમાર કામની કામગીરી હાથ ધરી રહ્યા છે. મોડી રાત્રી સુધીમાં તે પણ પૂર્વવત બનાવી લેવાય તેમ જાણવા મળી રહ્યું છે.
**
૩૦૯ વિજ પોલ-૧૫ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત: ‚ા. ૬૩.૪૩ લાખનું નુકસાન
જામનગર જિલ્લામાં વાવાઝોડાની અસર ગઈકાલથી જોવા મળી હતી અને જામનગર જિલ્લાના અનેક ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવનને કારણે ભારે ખાના ખરાબી થઈ હતી. ગઈકાલે અને આજે બે દિવસ દરમિયાન કુલ ૩૦૯ વિજ થાંભલાઓ પડી ગયા છે, જ્યારે ૧૫ વિજ ટ્રાન્સફોર્મર જમીન દોસ્ત થયા છે જેના કારણે ૬૩.૪૩ લાખની નુકસાની થઈ છે.  વિજ તંત્ર દ્વારા ગઈકાલે સાંજથી જ તોફાની પવનના કારણે થયેલી નુકસાનીની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આજ ફરીથી સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ બપોર પછી સતત બીજા દિવસે તોફાની વંટોળિયો પવન ફૂંકાયો હતો અને અનેક વિજ પોલ ભાંગી ગયા હતાં.  બંને દિવસો દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ ૩૦૯ વિજ પોલ ડેમેજ થઈ ગયા છે, જ્યારે ૧૫ ટ્રાન્સફોર્મર ભાંગીને જમીન પર પટકાયા છે. જેથી અંદાજે સમગ્ર જિલ્લામાં બે દિવસ દરમિયાન ૬૩.૪૩ લાખનું નુકસાન થયું હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર  એલ.કે. પરમાર જાતે જ જુદા-જુદા વિસ્તારોમાં નુકસાનીને લઈને અન્ય વિજ અધિકારીઓ અને કર્મચારીઓની મોટી ફોજ સાથે તમામ સ્થળે પહોંચ્યા હતાં, અને યુદ્ધના ધોરણે વિજ પુરવઠો કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. આજે પણ પીજીવીસીએલની અનેક ટીમો વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે દોડધામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application