દ્વારકામાં હરીયાળી મહોત્સવ: મેન્ગ્રુવનું મહત્વ સમજાવતા કેન્દ્રીય મંત્રી

  • July 06, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ જગત મંદિરમાં જઇને કર્યા દર્શન: વન વિભાગ દ્વારા કાર્યક્રમ માટે તડામાર તૈયારી કરાઇ હતી

કેન્દ્રના વન પર્યાવરણ મંત્રી આજે દ્વારકા ખાતે આવ્યા છે અને હરીયાળી મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેતા પૂર્વે એમણે જગતમંદિરમાં જઇને દર્શન કર્યા હતાં, આ તકે મંત્રી મુળુભાઇ બેરા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના ભાજપના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતાં.
આજે નિયત સમયે કેન્દ્રીય મંત્રીનું આગમન થઇ ગયા બાદ વિધીવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, હરીયાળી મહોત્સવના કાર્યક્રમમાં જતા પૂર્વે સૌ પ્રથમ આખો કાફલો જગતમંદિરમાં પહોંચ્યો હતો અને ત્યાં પુજારીઓ દ્વારા પાદુકા પુજન કરાવવામાં આવ્યું હતું તેમજ બીજી ધાર્મિક વિધીઓ કરાઇ હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વને મિશન લાઇફનો મંત્ર આપ્યો છે. ગુજરાત વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જમીનની ખારાશ અને ધોવાણ થતું અટકે તે માટે મેનગૃવ્સની ભૂમિકા મહત્વની છે. જેના પરિણામે જ મિષ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. કુદરતી આફતો જેવી કે પુર અને વાવાઝોડાના સમયે પણ દરિયાકિનારાના વિસ્તારોમાં ચેરના વાવેતર થકી નુકશાન થતું અટકે છે. દરિયા કિનારાના સંરક્ષણ અને જાળવણી તેમજ ડોલ્ફિન રક્ષણ માટે પણ મેન્ગ્રુવનું વાવેતર અને તેની જાળવણી મહત્વની ભૂમિકા ભજવે છે.         
મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આવનારી કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણના જતન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે રાજ્યમાં એક પણ માનવ મૃત્યુ થયું નથી તે બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આવનારા સમયમાં પણ કુદરતી આફતો સામે લડી શકાય તે માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. આજે ગુજરાતના વિશાળ દરિયાકિનારાના ૩૦૦૬ હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવના વાવેતર માટે વિવિધ ૬ કોર્પોરેટ્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા તે બદલ વન વિભાગને તેમજ કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા.જે પ્રકારે ભગવાનને સૌથી વધુ મિષ્ટીનો ભોગ ધરવામાં આવે છે તે જ પ્રકારે દરિયાકિનારાને મિષ્ટી રૂપી ચેરના વૃક્ષોની ભેંટ આપવા બદલ સરકારને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, હરિયાળી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન-૨૦૨૩ના રોજ મિષ્ટી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં ૨૫ જગ્યાએ ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વન મહોત્વની ઉજવણી કરવાની પહેલ થકી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પર વિવિધ વનોની સ્થાપના કરવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણના સંરક્ષણ સાથે આ વનો પર્યટન સ્થળો તરીકે પણ વિકસ્યા છે. રૂક્ષ્મણી મંદિર પાસે ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેના થકી જમીનનું ધોવાણ થતું અટકશે. આ તકે મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. વિશાળ દરિયાકિનારો ધરાવતા દ્વારકામાં જમીનની ખારાશ હોવાથી જમીનનું ધોવાણ થતું અટકે તે માટે આજે મેનગૃવ્સનું વાવેતર મિષ્ટિ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ સાંસદએ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણનું જતન કરવા નાગરિકોને અપીલ કરી હતી.
મેન્ગૃવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ પ્રોજેક્ટ હેઠળ ૬ કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે કુલ છ એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ નિયુક્ત જમીનો પર મેન્ગ્રુવ્સના (ચેર) વાવેતર દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રત્યેક કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડે ૪૦ હેક્ટર જમીન પર, નાયરા એનર્જી્ લિમિટેડ દ્વારા  ૨૫૦ હેક્ટર જમીન પર,  લિમિટેડ દ્વારા ૧૦૦ હેક્ટર જમીન પર,  ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ૨૦૦ હેક્ટર જમીન પર, કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, વેદાંત લિમિટેડે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠાના ઝોનમાં આશરે ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વ્યાપક ૩૫૦૦ હેક્ટર જમીન પર મેન્ગ્રુવ્સનું વાવેતર કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીઓ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચેના આ સહયોગી પ્રયાસોનો ઉદ્દેશ દરિયાકાંઠાના ઇકોસિસ્ટમના સંરક્ષણ અને જાળવણીને વધારવાનો છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ રાજ્ય સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા આજે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે આવ્યા હતાં.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પૂજન - અર્ચન કર્યા હતાં, આ ઉપરાંત તા. ૦૬/૦૭/૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ કલાકે રૂક્ષ્મણી મંદિર પાસે હરિયાળી મહોત્સવ, ૨૦૨૩ના ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં, કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક તથા રાજકોટના પૂર્વ મેયર અને ધારાસભ્ય ઉદય કાનગડની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. હરિયાળી મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં મેન્ગ્રુવ પ્લાન્ટેશન વગેરે કરવામાં આવ્યા હતાં, ખાસ કરીને દ્વારકા મરીન નેશનલ પાર્કના પટ્ટામાં પણ આવતું હોવાથી મેન્ગ્રુવના વૃક્ષનું વાવેતર દરિયાઇ જીવસૃષ્ટિ માટે અતિ જરુરી હોવાથી હરીયાળી મહોત્સવના પ્રથમ પગથીયે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક દ્વારા તેમજ આભારવિધિ યુ. ડી. સિંઘ દ્વારા કરવામાં આવી હતી. આ તકે કેન્દ્રિય વન, આબોહવા અને કલાયમેટ ચેન્જ વિભાગના ડાયરેકટર જનરલ એન્ડ સ્પેશિયલ સેક્રેટરી ચંદ્રપ્રકાશ ગોયલ, ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એસ.કે. ચતુર્વેદી, યુ. ડી. સિંઘ, અગ્રણી નગાભાઈ ગાધેર, વિજય બૂજડ, રમેશ હેરમાં, મેરામણ ગોરીયા, એસડીએમ પાર્થ તલસાણીયા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application