હાલારમાં કાલે ૭૫માં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી

  • January 25, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કક્ષાની ઉજવણી જોડીયાના બાદનપરમાં થશે જયારે દેવભુમિ દ્વારકા જિલ્લાની ઉજવણી ભાણવડ ખાતે કરવામાં આવશે જેમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા હાજર રહેશે

જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ૭૫માં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જામનગર જિલ્લા કક્ષાની જોડીયાના બાદનપરમાં જયારે દેવભુમિ દ્વારકા જિલ્લાની ઉજવણી ભાણવડ ખાતે કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવશે જયારે કોર્પોરેશન દ્વારા શહેર કક્ષાનું ઘ્વજવંદન ખંભાળીયા નાકા બહાર મેયરના હસ્તે કરવામાં આવશે, ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળોએ ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
જામનગર જિલ્લા કક્ષાની ઉજવણી તા.૨૬ના રોજ સવારે બાદનપરના ઢાળીયા પાસે શ્રેયસ સ્કુલની સામે કરવામાં આવશે જયાં જિલ્લા કલેકટર ઘ્વજવંદન કરાવશે, ત્યારબાદ પોલીસ અને હોમગાર્ડની માર્ચપાસ્ટ યોજાશે, ઉપરાંત ટેબ્લો નિર્દેશન, કલેકટરનું ઉદબોધન, ત્યારબાદ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની  ઉજવણી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે ભાણવડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે, આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ આયોજન થાય તે માટે  નિવાસી અધિક કલેકટરશ્રી ભુપેશ જોટાણીયાની રાહબરી હેઠળ રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેકટરએ મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી, અધિકારીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આ પ્રસંગે ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે.કરમટા, ડી.વાય.એસ.પી. પ્રજાપતિ, ડી.વાય.એસ.પી. પરમાર, ભાણવડ તાલુકા વિકાસ અધિકારી સહિતનાં  ઉપસ્થિત રહ્યાં હતાં. ખંભાળીયા નગરપાલિકા દ્વારા નગરપાલિકા ગાર્ડન ખાતે પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
જામનગર મહાપાલિકા દ્વારા ૭૫માં પ્રજાસતાક દિન નિમિતે મેયર વિનોદભાઇ ખીમસુરીયાના હસ્તે સવારે ૯ વાગ્યે ખંભાળીયા નાકા પાસે વોર્ડ નં.૯, ૧૩ અને ૧૪ના ખુણે ઘ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર ગોહિલ, આસી.કમિશ્નર ભાવેશ જાની, ફાયરના વડા કે.કે.બિશ્ર્નોઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે પંચાયતના પ્રમુખના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના અગ્રણીઓ હાજર રહેશે જયારે કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ પાસે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, આ ઉપરાંત મહીલા કોલેજ, એમ.પી.શાહ કોલેજ, બ્રિલીયન્ટ સ્કુલ, સત્યસાંઇ સ્કુલ, હરીયા સ્કુલ-કોલેજ, પાર્વતીદેવી સ્કુલ સહિતના સ્થળે ઘ્વજવંદન યોજાશે. જયારે શહેર કક્ષાની ઉજવણી જામનગર શહેરમાં કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application