કાશ્મીરના લોકોએ  કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો

  • May 08, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. આના પર કાશ્મીરી લોકોએ કહ્યું કે પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં સતત હુમલા કરી રહ્યું છે. અમને અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી. કેટલાક લોકોએ બંકરોમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો.


LoC નજીક રહેતા રહેવાસીઓ માટે તે લાંબી રાત હતી. જયારે મંગળવારે મોડી રાત્રે નિયંત્રણ રેખા (LoC) પર તોપમારો થયો ત્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા.


યુદ્ધ શરૂ થઈ ગયું છે તેના ડરથી, લોકો ગભરાઈ ગયા અને વીજળી બંધ કરી દીધી અને બંકર તરફ દોડી ગયા, જ્યારે કેટલાક પોતાના ઘરોમાં છુપાઈ ગયા. કોઈક રીતે લોકોએ પોતાનો જીવ બચાવ્યો. બારામુલ્લા અને કુપવાડાના સરહદી વિસ્તારોમાં ગોળીબારમાં ફસાયેલા દરેક ઘરની આ દુર્દશા હતી.


સરહદી વિસ્તારમાં તણાવ ફેલાયો


ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ગુસ્સે ભરાયેલ પાકિસ્તાની સેનાએ મધ્યરાત્રિથી સવાર સુધી રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. નિયંત્રણ રેખાને અડીને આવેલા ઉરી વિસ્તારના કમલકોટ ગામના મોહમ્મદ આસીમ શેખે જણાવ્યું કે પહેલગામ હુમલા પછી અમારા સરહદી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.


સરહદ પારના લોકો કોઈને કોઈ રીતે આપણને નુકસાન પહોંચાડશે એવો ડર હતો. પરિસ્થિતિનો અંદાજ લગાવીને, અમે અગાઉથી તૈયારીઓ કરી લીધી હતી. અમે અમારા ઘરોમાં બંકરો તૈયાર કર્યા હતા. રાત્રે અચાનક ગોળીઓના અવાજથી આખો પરિવાર ગભરાઈ ગયો.


કમલકોટના સૈયદ સવિરે કહ્યું કે અમે પ્રાર્થના કરી હતી કે આપણી સરહદો શાંત રહે. અમને ફરી એકવાર અમારા ઘરોમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે, જોકે અમને ખુશી છે કે દેશે પાકિસ્તાન પાસેથી પહેલગામનો બદલો લીધો છે.


નસીર અહેમદે કહ્યું  કે અમે ખૂબ લાંબી રાત વિતાવી. એવું લાગતું હતું કે આ રાત ક્યારેય પૂરી નહીં થાય. તોપમારા વચ્ચે અમારે જીવ બચાવવા માટે સલામત સ્થળોએ જવું પડ્યું અને આશ્રય લેવો પડ્યો. બીજી તરફ, ઉરી વિસ્તારના એક ડઝનથી વધુ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. લોકો પોતાના ઘરોને તાળા મારીને સલામત સ્થળોએ ચાલ્યા ગયા છે.


પૂંછમાં 13 નાગરિકોના મોત


જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં પૂંછ સેક્ટરમાં 13 નાગરિકો માર્યા ગયા અને કુલ 59 લોકો ઘાયલ થયા, એમ વિદેશ મંત્રાલય (MEA) એ આજે જણાવ્યું હતું.


વિદેશ મંત્રાલયના બાહ્ય પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે કુલ ઘાયલોમાંથી 44 લોકો પૂંછના હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક સેક્ટરોમાં ભારે ગોળીબાર કરી રહી હતી, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application