ધો.1થી 8ની શિષ્યવૃત્તિ મેળવવી સાત કોઠા વીંધવાથી પણ મુશ્કેલ

  • September 26, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1,650 અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને 1950 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતુ આ માટેની પ્રક્રિયા એટલી બધી અઘરી, લાંબી અને મુશ્કેલ છે કે વિદ્યાર્થીઓ અને તેના પરિવારના સભ્યો પારાવાર હેરાન થઈ રહ્યા છે. સરકારી કચેરીઓમાં જુદા જુદા આધાર પુરાવા મેળવવા માટે મજૂરી અને નોકરી ધંધા મૂકીને લાઈનમાં ઊભા રહેવું પડે છે. સરકાર ખરેખર શિષ્યવૃત્તિ આપવા માગતી હોય તો આ તમામ પ્રક્રિયા સરળ અને નાના ફોર્મેટમાં રાખવી જોઈએ તેવી વ્યાપક લાગણી અને માગણી ઉઠી રહી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી મુશ્કેલી બાબતે એક સરકારી અધિકારીએ આ સમગ્ર પ્રક્રિયા બાબતે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિની અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની હોય છે. આ માટે સૌ પ્રથમ વિદ્યાર્થીનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે. આધાર કાર્ડ હોય તો જ બેન્ક એકાઉન્ટ ખૂલે છે અને આધાર કાર્ડ મેળવ્યા પછી બાળકનું બેંક એકાઉન્ટ ખોલવાની અનેક બેંક ના પાડી દે છે. 5000 જેટલી ડિપોઝિટની રકમ રાખ્યા પછી માંડ માંડ ખાતું ખુલે છે. આ બધી પ્રક્રિયા કયર્િ પછી આવકનો અને જાતિનો દાખલો કઢાવવા માટે મામલતદાર કચેરીએ અને સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ ચક્કર કાપવા પડે છે. આ ડોક્યુમેન્ટ પૂરા થયા પછી શાળાના આચાર્ય મારફત દરખાસ્ત કરવાની હોય છે અને તેમાં વિદ્યાર્થીનું પૂરું નામ. ધોરણ, માતાનું નામ, જન્મ તારીખ, જીલ્લો, તાલુકો, વસાહત, ઘરનું નામ, પીનકોડ, માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી, કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડખાપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઇલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, રેશનકાર્ડ નંબર, બેન્ક ડીટેલ આવી તો અનેક વિગતો પોર્ટલમાં નાખવી પડે છે અને ત્યાર પછી જ ધીમી ગતિએ ચાલતા પોર્ટલમાં તેનો સ્વીકાર થાય છે. એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રીઓ થઈ શકે છે અને તે મુજબ અત્યાર સુધીમાં માત્ર 40% જેટલા બાળકોની દરખાસ્ત થઈ છે. એમાં વળી ઈ કેવાયસી ન હોય તો દરખાસ્ત થતી નથી. ઈ કેવાયસી કરવા માટેની પ્રક્રિયામાં જ્યારે શિક્ષક ડિજિટલ ગુજરાત પોર્ટલની એપ ખોલે એટલે વાલીના મોબાઇલમાં ઓટીપી આવે છે અને વાલી પાસેથી આવો ઓટીપી મેળવીને શિક્ષક તેની એન્ટ્રી કરે છે. આવા બે વખત ઓટીપી આવતા હોય છે.
ધંધા રોજગાર મજુરી અને કામ મૂકીને વિદ્યાર્થી વાલી અને શિક્ષકે આ કામમાં લાગવું પડે છે. સરકારે ખરેખર જો વિદ્યાર્થીઓ અને તેના પરિવારને શિષ્યવૃત્તિનો લાભ આપવો હોય તો સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને તેનું ફોર્મેટ નાનું રાખવું જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application