ઝનાના હોસ્પિટલની માહિતી લીક થાય છે ક્યાંથી ? ઢાંકોઢુંબો કરવા મરણિયા પ્રયાસો

  • May 01, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝનાના હોસ્પિટલમાં રોજ-બેરોજ થતી ક્ષતિઓ છાપે ન ચડે અને ઢાકોઢુંબો રહે એ માટે સંભવિત હોસ્પિટલ તંત્રની સૂચનાથી ગાયનેક વિભાગના જવાબદારો અને સ્ટાફ દ્વારા ઝનાનાના ઇન્ફોર્મેશન ગ્રુપમાંથી કેટલાક લોકોને રાતોરાત રીમુવ કરી દેવામાં આવ્યા છે. અને હોસ્પિટલના મિસ મેનેજમેન્ટથી થતા લોચા કેવી રીતે મીડિયા પાસે પહોંચી જાય છે એવા સવાલો પણ જવાબદારો દ્વારા કરવામાં આવ્યા છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં બેજવાબદાર તંત્રવાહકોના કારણે અવાર-નવાર હોસ્પિટલના સમાચારો અખબારોમાં છપાતા હોસ્પિટલની સાથે રાજ્યના આરોગ્ય વિભાગની છબી ખરડાતી હોવાથી તંત્ર વાહકો દ્વારા ક્ષતિઓ ઉદભવે નહીં તેની તકેદારી રાખવાની બદલે ક્ષતિઓ બહાર ન આવે એ માટેની તકેદારી રાખવાના મરણીયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઝનાના હોસ્પિટલમાં પાણીનો ટાંકો છલકાતા લેબર રૂમ અને લોબીમાં પાણી પાણી થયું હોવા ઉપરાંત આઇસીયુ, લેબર રૂમ અને નવજાત શિશુઓન વોર્ડમાં કર્ટેઇન ન હોવાના તસ્વીર સાથેના સમાચાર આજકાલમાં પ્રસિધ્ધ કરવામાં આવતા હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ હોવાનું અને બેદરકારી સ્વીકારવા કે આવી ભૂલ બીજે ક્યાંય ન રહે તે જોવા ને બદલે મિટિંગમાં સ્ટાફને એવા સવાલો કરવામાં આવ્યા હતા કે, ફોટા મીડિયા સુધી પહોંચે છે કેવી રીતે ? અને ગઈકાલે ગાયનેક વિભાગના જવાબદાર તબીબ અને સ્ટાફ દ્વારા ગ્રુપમાંથી એક પછી એક કેટલાક કર્મચારીઓને રીમુવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રુપમાં ઢાંકો ઢૂબો જે કરી શકે એવા જ લોકોને રાખી વિભાગની અને પોતાની આબરૂ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ જવાબદારો એ કહેવત પણ ભૂલવી ન જોઈએ કે, પાપ હંમેશા છાપરે ચડી ને પોકારતું જ હોઈ છે. ગ્રુપમાંથી કર્મીઓને કાઢી શકો છો પણ તેમની હોસ્પિટલ અને દર્દીઓ પ્રત્યેની નિષ્ઠાને કાઢી નહિ શકો એમાં કોઈ શંકાને સ્થાન નથી.

વિભાગના વડાઓ ખુલાસાથી બચવા સબ સલામત હોવાના ગાતા ગાણા

નિયમ મુજબ જે-તે વિભાગના સમાચાર અખબારમાં આવે એટલે એ વિભાગના વડા પાસે ખુલાસો માંગવામાં આવે છે, જેના કારણે વિભાગના વડાઓ પણ ખુલાસાથી બચવા માટે અને મીડિયા સુધી માહિતી ન પહોંચે માટે સ્ટાફને ડારો ડફારો કરી સૂચના આપતા હોઈ છે. વિભાગના વડા અને હોસ્પિટલના જવાબદારો આવું કરવાથી માત્ર તમે તમારો બચાવ કરી શકો છો પણ બીજી બાજુ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પડતી મુશ્કેલી અને દુવિધાઓને ઢાંકી પાપ ના ભાગીદાર એટલા જ બની રહ્યા છો, વિભાગના વડા પોતાના ડિપાર્ટમેન્ટમાં કેટલાક સાધનોની ઘટ હોવાથી યોગ્ય નિદાન કરવામાં પણ તકલીફ પડતી હોવા છતાં આફતને અવસરમાં બદલી દેવાની આદત પડી ગઈ હોઈ તેમ વોર્ડ-વિભાગમાં સબ સલામત હોવાનું અનેક વખત દશર્વિે છે. પણ વાસ્તવમાં સ્થિતિ કાંઈક જુદી જ હોઈ છે. ખરેખર દાનત પૂર્વક આરોગ્ય ક્ષેત્રે સરકારી હોસ્પિટલની હાલત સુધારવી હોઈ તો હોસ્પિટલમાં શું આ સુવિધા છે એ વિશે રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય કમિશનર અને આરોગ્ય સચિવ સાથેની ટીમ વિભાગના વડાઓ સાથે વન ટુ વન બેઠક યોજે તો સાચી સ્થિતિ બહાર આવે પણ આવું કરે કોણ એના ઉપર પણ સવાલ છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application