પ્રિન્સથી લઇને રાજ સુધી આવી ભયંકર બેદરકારી કયાં સુધી...?

  • February 07, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રે... બેદરકારી !
(૧)૨૦૦૬માં પ્રિન્સને જયારે સેનાએ હેમખેમ બહાર કાઢયો હતો (૨)ગોવાણા ગામમાં ગઇરાત્રે માસુમ રાજને બોરવેલમાંથી બચાવવામાં આવ્યો.

***
બોરવેલ માટે ઉંડા ખાડા કરીને કાળમુખા બનાવી ખુલ્લા મુકી દેનારાઓને કલીનચીટ શું કામ ?:  માતા-પિતા પર દોષના ટોપલા ઢોળવા કરતા બોરવેલ કરાવીને ખુલ્લું મુકનારા ગુનેગારો સામે અત્યાર સુધી કેમ કોઇ કડક પગલા લેવાયા નથી જેથી દાખલો બેસી શકે: ૨૦૨૩માં તમાચણ ગામમાં બાળકીનો ભોગ લેવાયો, ૨૦૨૪માં રાણ ગામમાં સવા બે વર્ષની એન્જલનો જીવનદીપ બુઝાઇ ગયો, ગુજરાત અને દેશમાં સતત વધી રહેલા આ બનાવો રોકવા જરુરી

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયા બાદ દીલધડક ઓપરેશન ચાલ્યું, બધાના જીવ ઉચક થયા, સદનસીબે બાળકની જીંદગી બચી ગઇ છે, હાલ સારવાર હેઠળ છે અને આ ઘટનાએ ફરી એક વખત દેશ આખાને હચમચાવી નાખનાર પ્રિન્સના બનાવને તાજો કરી દીધો છે, સાથે-સાથે હવે એ પણ સવાલ ઉઠે છે કે આખરે કયાં સુધી નિર્દોષ ભુલકાઓના ભોગ લેવાતા રહેશે ? કારણ કે જામનગર જિલ્લાના તમાચણ અને રાણ ગામમાં બે બાળકીઓ જુદા-જુદા બનાવમાં આ જ રીતે બોરવેલમાં પડીને જીંદગી ગુમાવી બેઠી છે ત્યારે પોતાની વાડી કે જે તે સ્થળે ઉંડા બોરવેલ કરાવીને કાળમુખાની જેમ તેને ખુલ્લા છોડી મુકનારા જવાબદારો સામે અત્યાર સુધી જામનગર કે ગુજરાતમાં શું કામ એવા પગલા લેવાયા નથી જેનાથી કડક દાખલો બેસી શકે અને આવી બેદરકારી રાખનારા લોકોને કાનુનનો ડર લાગે.
વર્ષ ૨૦૦૬માં હરીયાણાના કુરુક્ષેત્રમાં પ્રિન્સ નામનો બાળક બોરવેલમાં ખાબકયો હતો અને તેને બચાવવાનું દીલધડક ઓપરેશન દેશ અને દુનિયાએ જોયું હતું, આ ઓપરેશન માટે સેનાના જવાનોની મદદ લેવામાં આવી હતી અને એમના દ્વારા જ પ્રિન્સને જયારે જીવંત બહાર કાઢવામાં આવ્યો ત્યારે દેશ આખામાં ખુશીની લહેર જોવા મળી હતી, આ ઘટનાએ એ સમયે દેશ આખાનું ઘ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
આ પછી તો દેશમાં અને ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં અનેક નાના બાળકો પડી ગયાના અને જીવ ગુમાવી બેસ્યાના બનાવો બન્યા છે, ૨૦૨૩માં જ જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઇ અને કરુણ મૃત્યુ નિપજયું હતું. આ પછી તા.૦૧-૦૧-૨૦૨૪ના રોજ રાણ ગામમાં સવા બે વર્ષની બાળકી કાળમુખા બોરવેલમાં ખાબકી હતી અને કરુણ ઢબે મૃત્યુ નિપજયું હતું.
જામનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર સહિતના સૌરાષ્ટૅ્રમાં અને ગુજરાતમાં સમયાંતરે માસુમ બાળકો બોરમાં પડવાના બનાવો સતતને સતત વધી રહ્યા છે, દર વખતે મોટી ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવે છે, ઘણા કિસ્સાઓમાં બાળકોના જીવ ગયા છે અને પ્રિન્સ તથા રાજ જેવા એવા ખુશનસીબ બાળકો પણ છે જે બોરવેલ જેવા મોતના મુખમાં કલાકો વિતાવ્યા બાદ જીંદગીનો ઉજાસ જોઇ શકયા છે.
અહીં સવાલ એ ઉઠે છે કે, આવા બનાવો આખરે કયાં સુધી બનતા રહેશે ? બાળકોના માતા-પિતા પર બેદરકારીના માછલા ધોવા કરતા બોર કરીને કાળમુખાની જેમ તેને ખુલ્લા છોડી દેનારા જે તે જવાબદારો સામે અત્યાર સુધી શું કામ એવા કડક પગલા લેવામાં આવ્યા નથી જેનાથી એક દાખલો બેસે, ખૌફ પેદા થાય અને આવા બેદરકારોની આંખો ઉઘડે.
સીધી વાત છે કે, પાણી મેળવવા માટે કરવામાં આવતા ઉંડા બોરવેલ ખોદી નાખ્યા બાદ જયાં સુધી તેના પર સબમર્શીલ અથવા પમ્પ ફીટ ન થઇ જાય અને તે ઢંકાઇ ન જાય ત્યાં સુધીના ગાળામાં બોરવેલ કરી લીધા બાદ તેને ચીવટપૂર્વક મજબુતીથી ઢાંકી રાખવાની તકેદારી શું કામ રાખવામાં આવતી નથી ?
જો જે તે જવાબદારો દ્વારા આ તકેદારી રખાતી ન હોય તો સ્વભાવિક રીતે તંત્રએ એવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા જોઇએ અને માસુમ બાળકની જીંદગીને છીનવી લેવા માટે એવા જવાબદારો સામે કાનુનની એવી પ્રક્રિયા કરવી જોઇએ જેથી કરીને બાકી બીજા લોકોની આંખો પણ ઉઘડે અને આવા કાળમુખા બોરવેલ ખુલ્લા મુકતા પૂર્વે એમને પણ પોતાનો અંજામ દેખાય.
આવા બનાવો હવે સતતને સતત વધી રહ્યા છે, વધુને વધુ ગરીબ અને શ્રમીક બાળકો ભોગ બની રહ્યા છે ત્યારે જરુરી છે કે, રાજય સરકાર દ્વારા અવા બનાવોને ગંભીરતાપૂર્વક લેવામાં આવે અને જિલ્લાના વડા અધિકારીઓ પણ આવી ઘટનાઓ માટે જવાબદારો સામે લાલ આંખ કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application