રાજકોટમાં દંપતી સાથે ૨૫ તોલા સોનું તથા સસ્તામાં કવાર્ટર અપાવવાના નામે છેતરપિંડી

  • March 29, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં જામનગર રોડ પર બજરંગવાડી-૬ પુનિતનગર શેરી નં.૧માં રહેતા અશોક દામજીભાઈ જેઠવા તથા તેના પત્ની સાથે ઈન્દિરા સર્કલ પાસે આવેલા દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્ના સમીપભાઈ શાહ નામની મહિલાએ સસ્તામાં ૨૫ તોલા સોનુ તથા ફલેટ અપાવી દેવાના બહાને પાંચ તોલા સોનુ તથા ૩ લાખ રૂપિયા ફિકસ ડિપોઝીટના તોળાવી ઓળવી જઈ છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ અશોકભાઈ સોફા, ફર્નિચર બનાવવાનું કામ કરે છે. એક માસ પહેલા તે તથા તેના પત્ની મનિષાબેન બન્ને અશોકભાઈએ બનાવેલા બહેન કુસુમબહેન ધીરૂભરાઈ ઘોડાસરા કે જેઓ દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં માતાજીના મઢે પ્રસંગ હોવાથી જમવા ગયા હતા. એપાર્ટમેન્ટમાં જ રહેતા આરોપી ક્રિષ્નાબેન અશોકભાઈના પત્ની મનિષાબેનને મળ્યા હતા. બન્ને વચ્ચે પરિચય થયો હતો.

બીજા દિવસે તા.૧૮ના રોજ ક્રિષ્નાબેન અશોકભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતા-પુત્રી સાથે વાત કરી હતી. ક્રિષ્નાએ વાતોમાં ફસાવીને કહ્યું કે તમે નાનુ મોટુ સોનુ દાગીના આકો હું તમને સોનુ મોટું કરીને ૨૫ તોલા સોનુ પરત આપીશ. બે દિવસ બાદ તા.૨૧ના રોજ આરોપી ક્રિષ્ના ફરી ઘરે આવી હતી. ફરિયાદી અશોકભાઈ પત્ની પુત્રીને વિશ્ર્વાસમાં લઈને એક તોલા સોનાનો ચેઈન, સેટ, બૂટી મળીને સાડાત્રણ તોલાનો સોનાનો સેટ, અર્ધો તોલાનું નાનુ પેડલ તથા લેડિઝ વીંટી લઈ ગયા અને અઠવાડિયામાં ૨૫ તોલા સોનું આપશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો.


ક્રિષ્નાબેન ફરી બીજા દિવસે તા.૨૨ના રોજ આવ્યા અને તેમણે કહ્યું કે મારા પિતા પાલીતાણા મંદિરમાં ટ્રસ્ટી છે સેવાનું કામ કરે છે જેથી તમો મને સકનના ૩ લાખ રૂપિયા આપો બાકી ૭ લાખ રૂપિયા સેવામાંથી આપી તમોને ૧૦ લાખ રૂપિયાવાળુ આવાસ યોજનામાં ત્રણ બેડરૂમ હોલ કિચનવાળુ કવાર્ટર અપાવી દઉં. દંપતીને વિશ્ર્વાસમાં લીધુ અને વાતોમાં આવી ગયેલા દંપતીએ બેન્કમાં રહેલી ત્રણ લાખની ફિકસ ડિપોઝીટ તોડી રોકડા ત્રણ લાખ ક્રિષ્નાબેન શાહને આપ્યા હતા.

થોડા દિવસ બાદ ક્રિષ્નાબેન આવ્યા ઘરેણા આપી ગયા અને ઘેરે મુકી દીધા. બીજા દિવસે દાગીના ચેક કરતા ખોટા ઈમિટેશનના નીકળ્યા જે બાબતે ક્રિષ્નાબેનને અવારનવાર ફોન કરી નકલી ઘરેણા તથા ત્રણ લાખ રોકડ બાબતે વાત કરી હતી. અલગ અલગ મુદતો વાયદાઓ કર્યે રાખતા હતા અંતે નાણા ન આપ્યા અને નકલી ઘરેણા લઈને છેતરપિંડી આચરી હોવાની ગાંધીગ્રામ પોલીસે દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં સેક્ધડ ફલોર પર રહેતા ક્રિષ્ના સમીપભાઈ શાહ સામે ગુનો નોંધી સત્ય શું છે તે અંગે તપાસ આરંભી છે.


અસલી ઘરેણા લઈ જઈ થોડા દિવસ બાદ નકલી પધરાવી ગયા
ભેજાબાજ મહિલા ક્રિષ્નાબેન દંપતીને વિશ્ર્વાસમાં લઈ થોડા ઘરેણા સામે ૨૫ તોલા આપવાની લાલચ આપી હતી. જેથી મહિલાએ પાંચ તોલા સોનાના અસલી ઘરેણા આપ્યા હતા. થોડા દિવસ બાદ ક્રિષ્નાબેન ઘરે આવીને બુટી સાથેના બે સેટ, બે પેડલ સેટ, બે ચેઈન, બ્રેસલેટ, બૂટી, બંગડી સહિતના નવા ઘરેણાઓ આપી ગયા હતા. શંકા જતાં અથવા તો ઘરેણા ચેક કરાવવા બીજા દિવસે ઘર નજીક બજરંગવાડીમાં આવેલા ગાત્રાળ જવેલર્સમાં ઘરેણા ચેક કરાવાતા સોનીએ ઘરેણા ઈમિટેશનના નકલી હોવાનું કહેતા શ્રમિક પરિવારમાં ધ્રાસ્કો પડયો હતો. વિશ્ર્વાસમાં છેતરાઈ ગયાની જાણ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application