વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રુા.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજના શિલાન્યાસ અને લોકાર્પણ

  • March 12, 2024 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તારાઈ, વંદે ભારત ટ્રેનના વિસ્તરણ થકી દ્વારકા જિલ્લાના પ્રવાસનને ગતિ મળશે: સાંસદ પૂનમબેન માડમ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રુા. ૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તરણ કરાતા વડાપ્રધાન દ્વારા વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી લીલો ઝંડી બતાવી હતી.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, ફલટન-બારામતી નવી લાઈન તથા અન્ય પરીયોજનાઓનો શિલાન્યાસ તેમજ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો ન્યુ ખુર્જા-સાનેહવાલ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ન્યુ મકરપુરા - ન્યુ ઘોલવડ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ઓપરેશન કંટ્રોલ સેન્ટર-અમદાવાદ, રેલવે લાઇનનું ડબલિંગ/મલ્ટી-ટ્રેકિંગ અને ગેજ રૂપાંતરણ, અનેક રેલ ખંડોનું વિદ્યુતીકરણ, રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, રેલવે ગુડ્સ-શેડ ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ, ડિજિટલી નિયંત્રિત સ્ટેશન, સ્વચાલિત સિગ્નલિંગ રેલ ખંડ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ સોલર પાવર સ્ટેશન અને ભવન, રેલ કોચ રેસ્ટોરન્ટ વગેરે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત, ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારીત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો પ્રસ્થાન સંકેત આપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
જામનગર - અમદાવાદ વંદે ભારત ટ્રેનના ઓખા સુધીના વિસ્તરણ થવા પર દ્વારકા જિલ્લાના નાગરિકોને અભિનંદન પાઠવતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લાના નાગરિકોને વધુ એક ભેટ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મળી છે.  છેવાડાના વિસ્તાર સુધી યાતાયાતના માધ્યમો પ્રબળ બને તેવા અભિગમ સાથે આજે દ્વારકા જિલ્લાને વંદે ભારત ટ્રેનનીભેટ મળી છે. જેના થકી હવે ઓખાથી અમદાવાદ સુધી યાત્રા સુગમ બનશે. તેમજ સમય બચાવ થશે તથા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
વધુમાં સાંસદએ જણાવ્યું હતું કે, કોઈપણ ક્ષેત્ર કે પ્રદેશના વિકાસમાં યાતાયાતની સુવિધાઓ મહત્વનું માધ્યમ છે. પહેલા સમયમાં રેલવેના વિસ્તરણની પરિકલ્પના સ્વપ્ન સમાન લાગતી હતી ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આજે ઓખા સુધી રેલવે લાઈન  ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ  થઈ છે.જે રેલવેમાં આવેલ આધુનિકીકરણની ઝલક પ્રદર્શિત કરે છે. વંદે ભારત ટ્રેનએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના અભિગમને ખરા અર્થમાં  સાર્થક કરતી સંપૂર્ણ સ્વદેશી ટ્રેન છે. જેના થકી યાત્રિકોને મુસાફરીનો અલગ જ અનુભવ થશે.
વધુમાં સાંસદએ ઉમેર્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકામાં દેશ વિદેશથી બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનના વિસ્તરણ થકી દ્વારકા જિલ્લાના પ્રવાસનને નવી ગતિ મળશે. જેના થકી સ્થાનિક રોજગારીમાં વધારો થતાં નાગરિકો આર્થિકરૂપે સક્ષમ બનતા તેમના જીવનધોરણમાં સુધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના ઉદબોધનમાં ઘણી ખરી વખત ઉલ્લેખ કર્યો છે કે મારા માટે જે છેલ્લું છે તે જ પ્રથમ છે અર્થાત છેવાડાના વિસ્તારોને પ્રાથમિકતા આપી છે. જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તરિત કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનું છુ.
આ ઉપરાંત વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્થાપિત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે દ્વારકા રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ તકે દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ, ઓખા નગરપાલીકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, ડી.આર.એમ અશ્વિની કુમાર, પશ્ચિમ રેલવે ચીફ કેટરિંગ મેનેજર તરુણ જૈન, જિલ્લા પંચાયતના સદસ્યઓ, અગ્રણી વિજય બુજડ, ભરત ચાવડા, ખેરાજભા કેર, લુણાભા સુમણીયા સહિત રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે , ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન તા. ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે દ્વારકા ૨૩:૫૪ કલાકે પહોંચીને ૨૩: ૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦કલાકે ઓખા પહોંચશે.
તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪:૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્ચેના કોઈપણ સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં અથવા સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application